અનિયંત્રિત અલગો ટ્રેડીંગ પ્લેટફોર્મ ઓફર કરનારને સેબીની ચેતવણી
મુંબઈ : રોકાણકારોને ભૂતકાળમાં ઊંચું વળતર ચૂકવ્યાનો દાવો કરતાં અને અથવા ભવિષ્યમાં અપેક્ષિત નફાનો દાવો કરતાં અનરેગ્યુલેટેડ પ્લેટફોર્મ સાથે અલ્ગોરિધમિક ટ્રેડીંગ સોલ્યુશન્સ ઓફર કરનારા કોઈપણ બ્રોકર આ પ્રકારના જોડાણને બંધ કરવા સેબીએ ચેતવ્યા છે. આ સાથે આવી ટ્રેડિંગ સુવિધાઓ ઓફર કરતાં બ્રોકરો અલ્ગોરિધમિક પ્રક્રિયાઓના આધારે આવા કોઈપણ નફાનો દાવો નહીં કરવા જણાવ્યું છે.
અલ્ગોરિધમિક ટ્રેડીંગ અથવા તો જેને બજારની ભાષામાં અલ્ગો, અદ્યતન ગાણિતિક મોડલ્સના ઉપયોગ દ્વારા સુપર-ફાસ્ટ સ્પીડમાં જનરેટ થયેલા ઓર્ડરનો સંદર્ભ આપે છે, જેમાં વેપારના સ્વચાલિત અમલનો સમાવેશ થાય છે અને તે મોટાભાગે મોટા સંસ્થાકીય રોકાણકારો દ્વારા ઉપયોગમાં લેવાય છે. જો કે સેબીએ અલ્ગોરિધમિક ટ્રેડીંગ પર પ્રતિબંધ મૂક્યો નથી. જે માત્ર ભૂતકાળમાં નફો અપાવ્યાના દાવાઓ કરે છે અને ભવિષ્યમાં ખાતરીપૂર્વક અપેક્ષિત વળતરના દાવા કરે છે એના પર પ્રતિબંધ મૂક્યો છે. જે અલ્ગોરિધમ્સના આધારે અને સેબી દ્વારા નિયંત્રિત ન હોય એવી એન્ટિટી દ્વારા ઓફર કરવામાં આવે છે.
અનરેગ્યુલેટેડ-અનિયંત્રિત પ્લેટફોર્મ અલ્ગોરિધમિક ટ્રેડીંગ સર્વિસિઝ અથવા સોદાના સ્વચાલિત અમલ માટે રોકાણકારોને વ્યુહરચના ઓફર કરે છે. સેબીએ એક સર્કયુલરમાં જણાવ્યું છે કે, રોકાણ પર ઊંચા વળતરના દાવાઓ સાથે આવી સર્વિસિઝ અને વ્યુહરચનાનું માર્કેટીંગ કરવામાં આવે છે. વધુમાં વ્યુહરચનાઓને રેટિંગ્સ આપવામાં આવે છે. જેના કારણે રોકાણકારો આવા દાવાઓ દ્વારા લલચાઈ શકે છે. જે રોકાણકારોને આવી સર્વિસ અને વ્યુહરચનાઓનું ખોટું વેચાણ કરવા સમાન હોઈ શકે છે, એવું સેબીએ જણાવ્યું છે.