સેબીએ લિસ્ટેડ બેંકો માટે ડૂબત લોન ડિસ્કલોઝર્સ સંબંધિત ફ્રેમવર્ક કડક બનાવ્યું
- ધિરાણદારો દ્વારા ડૂબત લોનો ઓછી દર્શાવવાના ઘણા કિસ્સા અને રિઝર્વ બેંક દ્વારા નિયામક પગલાંને કારણે આ નિર્ણય લેવાયો
મુંબઈ, તા. 01 નવેમ્બર 2019, શુક્રવાર
મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)એ લિસ્ટેડ બેંકો માટે ડૂબત લોન ડિસ્કલોઝર્સ પરના ફ્રેમવર્કને વધુ કડક બનાવ્યું છે. જે મુજબ બેંકો દ્વારા ડૂબત લોન પ્રોવિઝનિંગમાં કોઈપણ ડાઈવર્જન્સ કરાયું હશે તો એ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના રિસ્ક એસેસમેન્ટ રીપોર્ટ મળ્યાના ૨૪ કલાકમાં જાહેર કરવાનું રહેશે.
બેંકોએ આ માહિતી વાર્ષિક ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટસમાં વિગતો પ્રકાશિત કરવા માટે રાહ જોવાની રહેશે નહીં.
તાજેતરના મહિનાઓમાં ધિરાણદારો દ્વારા ડૂબત લોનનો અન્ડર-રીપોર્ટીંગ-ઓછી બતાવવાના ઘણા કિસ્સાઓ સામે આવતાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા કડક નિયામક પગલાં લેવાની ફરજ પડી હતી. સેબીએ તેનો આ નિર્ણય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સાથે સલાહ બાદ લીધો છે.
એક સર્કયુલરમાં સેબીએ નોંધ્યું છે કે, ડાઈવરજન્સ અને પ્રોવિઝનિંગ સંબંધિત માહિતી એ ભાવ સંવેદનશીલ છે અને લિસ્ટેડ કંપની દ્વારા એની ત્વરિત જાણ-ડિસ્કલોઝ કરવી જરૂરી છે. નવું ફ્રેમવર્ક ત્વરિત અમલી બનાવાયું છે.
બેંકો દ્વારા નોન-પરફોર્મિંગ એસેટ્સ(એનપીએ) જે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા કરાયેલા આંકલન નોંધાવેલા નફાના પ્રોવિઝન્સ અને કન્ટીજન્સીઝ પૂર્વેના ૧૦ ટકાથી વધે તો અને જો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ઓળખાયેલી વધારાની કુલ એનપીએ બેંક દ્વારા જારી કરાયેલી ઈન્ક્રીમેન્ટલ કુલ એનપીએના ૧૫ ટકાથી વધે તો બેંકો દ્વારા કરવામાં આવેલી વધારાની જોગવાઈને ડિસ્કલોઝર તરીકે જાહેર કરવાની રહેશે. આ ઉપરાંત સેબીએ આ માટેનું ફોર્મેટ પણ જારી કર્યું છે, જેમાં આ ડિસ્કલોઝર્સ કરવાના રહેશે.