'પંપ એન્ડ ડમ્પ' સ્કિમમાં સંડોવાયેલી 'શેલ' કંપનીઓ પર સેબીના દરોડા
- આ દરોડામાં ૧૫થી ૨૦ શેલ કંપનીઓ સામેલ : બે લિસ્ટેડ એગ્રોટેક કંપનીઓ, પ્રમોટર્સ પાસે કથિત નેટવર્કનો દોરી સંચાર
મુંબઈ : રૂ.૩૦૦ કરોડના પમ્પ એન્ડ ડમ્પ રેકેટ-કૌભાંડનો પર્દાફાશ કરી શકાય એ માટે મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ મુંબઈ, અમદાવાદ અને ગુરૂગ્રામમાં શેલ-ખોખા કંપનીઓ પર વ્યાપક દરોડા પાડયા હોવાનું જાણવા મળે છે. આ બાબતની સીધી જાણકારી ધરાવતા લોકોનું કહેવું છે કે, નાણા મૂલ્યની દ્રષ્ટિએ સેબી દ્વારા પાડવામાં આવેલા દરોડા સૌથી મોટા હોવાનું માનવામાં આવે છે.
આ દરોડામાં મુખ્યત્વે ૧૫થી ૨૦ શેલ કંપનીઓ સામેલ હતી, જેે કથિત રીતે ચોક્કસ લિસ્ટેડ કંપનીઓના પ્રમોટર્સ દ્વારા પોતાના શેરો પમ્પ અને ડમ્પ કરવા માટે બનાવવામાં આવી હતી. આ સૂત્રોનું કહેવું છે કે, ઓછામાં ઓછી બે લિસ્ટેડ એગ્રો-ટેક કંપનીઓ અને તેમના પ્રમોટર્સ આ કથિત નેટવર્કનો દોરી સંચાર સંભાળતા હોવાનું કહેવાય છે.
સેબીએ કંપનીના ડોક્યુમેન્ટ્સ, રબર સ્ટેમ્પ સહિત અનેક દસ્તાવેજો જપ્ત કર્યા છે. પ્રારંભિક મૂલ્યાંકન સૂચવે છે કે, કૌભાંડ ઓછામાં ઓછું રૂ.૩૦૦ કરોડનું હતું, જો કે સેબી દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજોનું વિશ્લેષણ કર્યા પછી વધુ વિગતો બહાર આવશે એવું સૂત્રોનું કહેવું છે.
સામાન્ય રીતે, પંપ એન્ડ ડમ્પ યોજનાઓના કિસ્સાઓમાં, સેબી એન્ટિટીઓ સામે આદેશ જારી કરે છે. ખૂબ જ ઓછા કિસ્સાઓમાં, સેબી વર્તમાન કેસની જેમ એન્ટિટીઓ સામે તેની તપાસ અને જપ્તીની સત્તા પણ ધરાવે છે.
કથિત છેતરપિંડીમાં, કંપનીઓના પ્રમોટરોએ શેલ કંપનીઓ બનાવી હતી, જે માલિકીના ટ્રેડરો તરીકે રજીસ્ટ્રેશન કરાવતી હતી અને કંપનીના શેર ખરીદતી અને વેચતી હતી. ભૂતકાળમાં, એવા ઘણા કિસ્સાઓ છે જ્યાં સેબીએ સ્મોલ અને મિડ કેપ કંપનીઓના પ્રમોટરોને તેમના શેરમાં હેરાફેરી કરવા બદલ પક્ડયા છે.
પંપ એન્ડ ડમ્પ યોજનાઓમાં ગુનેગારો સાથે સંકળાયેલી એન્ટિટીઓ પહેલા શેર ખરીદવાનું શરૂ કરે છે, જેથી શેરના ભાવમાં વધારો થાય. એકવાર ભાવ નોંધપાત્ર રીતે વધી જાય, તે ઘણા રિટેલ રોકાણકારોનું ધ્યાન ખેંચે છે અને હેરફેર કરતી એન્ટિટીઓ ભોળા રિટેલ રોકાણકારોને શેર વેચીને નફામાં શેરો પધરાવી દે છે.
એક વ્યક્તિએ આ વિશે કહ્યું હતું કે, આ મામલામાં એક કંપનીનો શેર એક વર્ષ કરતાં ઓછા સમયમાં રૂ.૧થી ઓછા ભાવથી વધીને રૂ.૪૦ થઈ ગયો અને પછી ફરીથી શેર લગભગ રૂ.૨થી ૩ થઈ ગયો. કંપનીના વ્યવસાયના સંદર્ભમાં કોઈ ફેરફાર થયો નથી અને તેની કમાણીમાં કોઈ અર્થપૂર્ણ ફેરફાર જોવા મળ્યો નથી, જે સ્પષ્ટપણે છેતરપિંડીવાળી યોજનાનો સંકેત આપે છે.
નિયમનકાર ચોક્કસ ટેલિગ્રામ ચેનલોનની પણ તપાસ કરી રહ્યું હોવાનું કહેવાય છે, જ્યાં સેબીમાં નોંધાયેલા ન હોય તેવા વિશ્લેષકો દ્વારા આ શેરોની જાહેરાત કરવામાં આવી રહી હતી. નિયમનકાર એ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે, શું ટેલિગ્રામ ગુ્રપો આ મેનીપ્યુલેશન યોજનાનો ભાગ હતા, એમ સૂત્રનું કહેવું છે.