સહકારી બેન્કોમાં થાપણદારોના નાણાંની સલામતિ વધારવા રિઝર્વ બેન્કની ખાતરી
- કો-ઓપરેટિવ બેન્કો દ્વારા છૂટી કરાતી મોટી લોન પર નજર રખાશે
મુંબઈ, તા. 05 ડિસેમ્બર 2019, ગુરૂવાર
સહકારી બેન્કોમાં થાપણદારોના નાણાંની સલામતિ વધારવા પગલાં હાથ ધરવાની રિઝર્વ બેન્કે ખાતરી ઉચ્ચારી છે. પંજાબ તથા મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક (પીએમસી)ના તાજેતરના ધબડકાને જોતા રિઝર્વ બેન્કની આ જાહેરાત મહત્વની માનવામાં આવે છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મનીટરિ પોલિસી કમિટિ (એમપીસી)ની ત્રણ દિવસની બેઠક બાદ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, સહકારી બેન્કો દ્વારા છૂટી કરાતી મોટી લોન્સના ડેટાબેઝ પોતે જાળવશે જેથી આવી લોન્સ પર નજર રાખી શકાય. આ ઉપરાંત સહકારી બેન્કો માટે ટૂંક સમયમાં ખાસ નિયમનકારી ધોરણો પણ લાગુ કરાશે.
શહેરી સહકારી બેન્કો માટે સાઈબર સિક્યુરિટીની ચિંતાને દૂર કરવા માળખું જારી કરવા વિચારાઈ રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
શહેરી સહકારી બેન્કો દ્વારા છૂટી કરાતી લોન્સમાં રહેલા જોખમો ઘટાડવા અને નાણાંકીય સર્વસમાવિષ્ટતાનાને આગળ ધપાવવામાં શહેરી સહકારી બેન્કોની ભૂમિકાને મજબૂત બનાવવા આવી બેન્કો માટેની નિયમનકારી માર્ગદર્શિકામાં ફેરબદલ કરવાની રિઝર્વ બેન્કની દરખાસ્ત હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. પીએમસી બેન્કના તાજેતરના ધબડકાને લઈને રિઝર્વ ેબેન્ક તથા સરકાર પર અનેક સ્તરેથી પસતાળ પડી હતી.
દરમિયાન ટેકનોલોજિકલ મર્યાદાઓને કારણે રિઝર્વ બેન્ક દ્વારા ડિજિટલ કરન્સી જારી કરવા સંદર્ભમાં કંઈપણ કહેવાનું વહેલું ગણાશે, પરંતુ રિઝર્વ બેન્ક આ અંગે વિચાર કરી રહી છે એમ ગવર્નરે જણાવ્યું હતું. જો કે રિઝર્વ બેન્ક ખાનગી ડિજિટલ કરન્સીની એકદમ વિરોધમાં છે, કારણ કે ડિજિટલ જારી કરવાના હક્ક દેશ પાસે હોય છે, એમ એમપીસીની બેઠક બાદ દાસે પત્રકારો સમક્ષ બોલતા જણાવ્યું હતું.
બિટકોઈન તથા અન્ય ક્રિપ્ટો કરન્સીઝને સરકાર દ્વારા ગેરકાયદે ઠેરવ્યા બાદ આ ટિપ્પણી આવી પડી છે. સરકારે ગેરકાયદે ઠેરવ્યા બાદ રિઝર્વ બેન્કે આ કરન્સીઓના વેપાર પર પ્રતિબંધ મૂકયો છે.