Migrants Report : દેશના અનેક શહેરોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની કામગીરીના વિકાસમાં શ્રમિકોએ મોટું યોગદાન છે. એક સમયે ગ્રામીણ ક્ષેત્રોના લોકો કામગીરીની શોધખોળ કરવા શહેરો તરફ આવતા હતા. શહેરોના વિકાસમાં શ્રમિકોનું મોટું યોગદાન હોય છે. જોકે છેલ્લા 12 વર્ષમાં ગામડામાંથી શહેરોમાં સ્થળાંતર કરનારા શ્રમિકોની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો થયો હોવાના રિપોર્ટ સામે આવ્યા છે.
શહેરમાં સ્થળાંતર કરનારાઓની સંખ્યા 11.8 ટકા ઘટી
રિપોર્ટ મુજબ, શ્રમિકોએ હવે ગામ છોડીને શહેરોમાં કામ કરવા જવાનું ટાળતા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 12 વર્ષના ડેટાની વાત કરીએ તો આવા સ્થળાંતર કરી શહેરમાં જતા શ્રમિકોની સંખ્યામાં 11.8 ટકાનો ઘટાડો થયો છે. પરિણામે શહેરીકરણની સરખામણીમાં ગ્રામીણીકરણ વધી રહ્યું છે. સિસ્ટેમેટિક્સ ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીઝના રિપોર્ટ મુજબ, આમ થવાના કારણે ખાદ્ય પદાર્થોની માંગ વધી છે. શહેરી પુરવઠામાં ઘટાડો થયો છે અને ખાદ્ય ફુગાવો યથાવત્ છે.
12 વર્ષમાં સ્થળાંતર કરનારની સંખ્યા પાંચ લાખ ઘટી
વડાપ્રધાનના આર્થિક સલાહકાર પરિષદના ડેટાને ટાંકીને રિપોર્ટમાં કહેવાયું છે કે, ‘દેશની અંદર સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. 2023માં સ્થળાંતર કરનારાઓની સંખ્યામાં 5370 કરોડનો ઘટાડો થયો હતો, જે 2011ના સ્તરની સરખામણીએ 11.8 ટકાનો ઘટાડો દર્શાવે છે. સ્થળાંતરનો દર પણ 2011માં 37.6 ટકાથી ઘટીને 2023માં 28.9 ટકા નોંધાયો છે. રિપોર્ટ મુજબ, રોજગાર કે વ્યવસાય મેળવવા માટે ગામડામાંથી શહેર તરફ જતા લોકોની સંખ્યામાં 2011માં 4.5 કરોડ હતી, જે હાલના સમયમાં પાંચ લાખ ઘટીને 4.0 કરોડ પર પહોંચી ગઈ છે.


