Get The App

રેપો રેટ યથાવત્ : વિવિધ લોનના દર નહીં ઘટે

- આગામી નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં મોંઘવારી વધવાની ધારણાં : થાપણ પરના દરો વધુ નીચે જશે

- અમેરિકા સાથે કરારથી વિકાસદર વધશે : વ્યાજદરો હજુ લાંબા સમય સુધી નીચા સ્તરે જ રહેશે : આરબીઆઈ ગવર્નર

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
રેપો રેટ યથાવત્ : વિવિધ લોનના દર નહીં ઘટે 1 - image

મુંબઈ : અમેરિકા સાથે વેપાર કરારની જાહેરાત બાદ ટેરિફ સંબંધિત દબાણમાં ઘટાડા તથા બજેટમાં સરકારી ખર્ચમાં વધારો કરવાની દરખાસ્ત બાદ વિકાસ અંગેની ચિંતા હળવી થતા અને ફુગાવો નીચા સ્તરે જળવાઈ રહેતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)એ ત્રણ દિવસની બેઠકના અંતે અપેક્ષા પ્રમાણે જ વ્યાજ દર જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. આજના નિર્ણયને પગલે હોમ, વ્હીકલ  સહિતની લોન પરના વ્યાજ દર અને ઈએમઆઈમાં ઘટાડો નહીં થાય. આગામી નાણાં વર્ષના પ્રારંભમાં મોંઘવારી વધવાના સંકેત અપાયા હતા. 

આગામી નાણાં વર્ષ માટેનું બજેટ જાહેર થયા બાદ રિઝર્વ બેન્કની આ પ્રથમ નીતિવિષયક બેઠક હતી. 

છ સભ્યોની એમપીસીએ સર્વાનુમતે ૫.૨૫ ટકા વ્યાજ દર જાળવી રાખવા નિર્ણય કર્યો છે. રિઝર્વ બેન્કે પોલિસી સ્ટાન્સ પણ ન્યુટ્રલ જાળવી રાખ્યું છે. ન્યુટ્રલ પોલિસી સ્ટાન્સ ભવિષ્યમાં વ્યાજ દરમાં ઘટાડો અથવા વધારો કરવાના સંકેત આપે છે.  રેપો રેટ યથાવત રખાતા બેન્કો લોનધારકોને હાલમાં વ્યાજદરમાં રાહત આપી શકશે નહીં એમ એક બેન્કરે જણાવ્યું હતું. 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના માલસામાન પરની ટેરિફ ૫૦ ટકા પરથી ઘટાડી ૧૮ ટકા કરતા દેશની બજારો તથા અર્થતંત્ર પરનું દબાણ હળવું થયું છે. 

બહારી પડકારો વધી ગયા છે, પરંતુ અમેરિકા સાથેના વેપાર કરારથી અર્થતંત્ર માટે સ્થિતિ સાનુકૂળ બની છે. ૨૦૨૫ના ફેબુ્રઆરીથી અત્યારસુધીમાં એમપીસીએ રેપો રેટ ૧.૨૫ ટકા ઘટાડી ૫.૨૫ ટકા સુધી લાવી દીધો છે. ડિસેમ્બરની બેઠકમાં રેપો રેટમાં પા ટકા ઘટાડો કરાયો હતો.

દેશમાં ફુગાવો નીચો રહ્યો છે અને અર્થતંત્ર સ્થિતિસ્થાપક રહ્યું છે. વૈશ્વિક ભૌગોલિક રાજકીય તાણ અને વધી રહેલી અનિશ્ચિતતા છતાં મજબૂત વિકાસ અને નીચા ફુગાવા સાથે ભારતનું અર્થતંત્ર સાનુકૂળ સ્થિતિમાં છે. 

ફુગાવા સહ્ય સ્થિતિમાં છે અને આઉટલુક પણ નીચુ જણાઈ રહ્યું છે એમ રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલહોત્રા દ્વારા ત્રણ દિવસની બેઠકના અંતે જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું. 

યુરોપ તથા અમેરિકા સાથે વેપાર કરારનો માર્ગ મોકળો થતા દેશની વિકાસ ગાથા લાંબા ગાળા સુધી ટકી રહેશે. 

જીડીપીની નવી શ્રેણી જાહેર થવાની હોવાથી રિઝર્વ બેન્કે આગામી સંપૂર્ણ નાણાં વર્ષ માટેના આર્થિક વિકાસ દરના અંદાજ જાહેર કરવાનું ટાળ્યું છે પરંતુ નવા નાણાં વર્ષના પ્રથમ બે ત્રિમાસિકના જીડીપી અંદાજ એપ્રિલ-જૂનના ૬.૯૦ ટકા અને જુલાઈથી સપ્ટેમ્બરના ૭ ટકા મૂકયા છે. વર્તમાન સંપૂર્ણ નાણાં વર્ષ માટે આર્થિક વિકાસ દર ૭.૪૦ ટકા રહેવા ધારણાં મૂકવામાં આવી છે. 

જોકે ફુગાવાનો અંદાજ પ્રથમ ત્રિમાસિક માટે ૪ ટકા અને બીજા ત્રિમાસિક માટે વધારી ૪.૨૦ ટકા કરાયો છે, જે મોંઘવારી વધવાના સંકેત આપે છે. કિંમતી ધાતુના ભાવમાં ઉછાળો આવતા ફુગાવાનો અંદાજ ઊંચો મુકાયો છે. 

દરમિયાન બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં મલ્હોત્રાએ જણાવ્યું હતું કે નીચા વ્યાજ દરની સ્થિતિ લાંબો સમય સુધી જળવાઈ રહેશે અને તેમાં કદાચ ઘટાડો પણ જોવા મળી શકે છે. 

નીતિવિષયકની નિર્ણયોની થાપણ પર અસરો ધીમી રહી છે અને થાપણ પરના વ્યાજ દરો નીચે જશે.

તાજેતરના વેપાર કરાર બાબતે પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં ગવર્નરે જણાવ્યું હતું કે આ કરારથી દેશના આર્થિક વિકાસ દરમાં ૨૦ બેઝિસ પોઈન્ટનો વધારો જોવા મળવા સંભવ છે. છેલ્લા એક વર્ષમાં કરન્સી ઈન સર્ક્યુલેશનમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું પણ ગવર્નરે જણાવ્યું હતું. 

રિઝર્વ બેન્કની નીણાં નીતિના મુખ્ય મુદ્દા

*  ન્યુટ્રલ પોલિસી સ્ટાન્સ સાથે મુખ્ય વ્યાજ દર ૫.૨૫ ટકા યથાવત રખાયો.

* આગામી નાણાં વર્ષના પ્રથમ બે ત્રિમાસિક માટેના જીડીપી અંદાજ વધારાયા.

* વર્તમાન નાણાં વર્ષ માટે રિટેલ ફુગાવો ૨.૧૦ ટકા રહેવા ધારણાં.

* આગામી નાણાં વર્ષના પ્રથમ  તથા બીજા  ત્રિમાસિકમાં ફુગાવો વધી અનુક્રમે ૪ ટકા અને ૪.૨૦ ટકા રહેવા અંદાજ.

* બજેટ દરખાસ્તો દેશના આર્થિક વિકાસ માટે સાનુકૂળ હોવાનો મત વ્યકત.

* કિંમતી ધાતુના ઊંચા ભાવને પરિણામે ફુગાવો વધવાની ચિંતા.

*વેપાર કરારથી દેશના આર્થિક વિકાસ દરમાં ૨૦ બેઝિસ પોઈન્ટનો વધારો થવાનો ગવર્નરનો મત. 

*નીચા વ્યાજ દરની સ્થિતિ લાંબો સમય સુધી જળવાઈ રહેશે અને તેમાં કદાચ ઘટાડો પણ જોવા મળી શકે છે.