GST બાદ મિડલ ક્લાસને વધુ એક રાહતની શક્યતા! સતત ચોથી વખત ગુડ ન્યૂઝ આપી શકે RBI
RBI May Cut Repo Rate: રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા આગામી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરોમાં 25 બેઝિસ પોઇન્ટનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. નિકાસ ઓર્ડર અને સરકારી ખર્ચમાં ઘટાડાના કારણે જીડીપી ગ્રોથમાં ઘટાડાની ભીતિ વચ્ચે આ પગલું લેવામાં આવી શકે છે. GSTમાં ઘટાડા બાદ મિડલ ક્લાસને રેપો રેટમાં પણ રાહત મળવાની શક્યતા છે. જેનાથી ખિસ્સા પર બોજો ઘટશે અને માગ વધશે.
એચએસબીસી ગ્લોબલ રિસર્ચે પોતાના રિપોર્ટમાં આ અંગે જણાવ્યું હતું કે, અનાજનું મજબૂત ઉત્પાદન, ચોમાસુ સારું રહેતા ગ્રામીણ વપરાશમાં વધારો, પર્યાપ્ત ભંડાર, ક્રૂડના ભાવોમાં ઘટાડો અને ચીનમાંથી સસ્તી નિકાસના કારણે ફુગાવો નીચો રહેવાનો આશાવાદ છે. જેથી આરબીઆઇ વ્યાજના દરોમાં 0.25 ટકા(25 બેઝિસ પોઇન્ટ)નો ઘટાડો કરી શકે છે. ઉલ્લેખનીય છે, આરબીઆઇએ આ વર્ષમાં રેપો રેટ ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં કુલ 100 બેઝિસ પોઇન્ટ ઘટાડ્યો છે.
મિડલ ક્લાસને મળશે રાહત
આરબીઆઇએ છેલ્લા દોઢ વર્ષથી રેપો રેટ 6.5 ટકા પર સ્થિર રાખ્યા બાદ આ વર્ષે ફેબ્રુઆરીથી ઘટાડો કરવાની શરુઆત કરી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં રેપોરેટ 0.25 ટકા ઘટાડ્યો હતો. બાદમાં એપ્રિલમાં વધુ 0.25 ટકા અને જૂનમાં 0.50 ટકાનો ઘટાડો લાગુ કર્યો હતો. આ સાથે હાલ 5.5 ટકા રેપો રેટ લાગુ છે. આગામી એમપીસી બેઠકમાં વ્યાજનો દર 0.25 ટકા ઘટાડે તો હોમ અને ઓટો લોનધારકોને મોટી રાહત મળશે.
ફુગાવો અપેક્ષિત લક્ષ્યાંક કરતાં નીચો
બ્રોકિંગ ફર્મે જણાવ્યું કે, ચાલુ ત્રિમાસિક માટે સરેરાશ ફુગાવો 1.8 ટકા છે, જે આરબીઆઇના અપેક્ષિત લક્ષ્યાંક 2.1 ટકાથી નીચો છે. વધુમાં સપ્ટેમ્બરમાં સીપીઆઇ ફુગાવો 1 ટકાથી 1.5 ટકા નોંધાવાનો અંદાજ છે. ઑગસ્ટમાં જથ્થાબંધ ફુગાવાનો આંકડો નજીવો વધ્યો છે. પરંતુ તે અપેક્ષિત લક્ષ્યાંકથી ઓછો છે. મોંઘવારીમાં વધારા પાછળનું એક મહત્ત્વનું પરિબળ સોનું રહ્યું છે. ઑગસ્ટમાં સોનાના ભાવમાં સરેરાશ 40 ટકાનો ઉછાળો નોંધાતાં સીપીઆઇ ફુગાવામાં 43 બેઝિસ પોઇન્ટનો વધારો થયો છે.
જીએસટી ઘટાડાનો પણ થશે લાભ
વધુમાં રિપોર્ટમાં અંદાજ મૂકાયો છે કે, આગામી 22 સપ્ટેમ્બરથી જીએસટીના દરોમાં ઘટાડો થવાનો છે. જેથી વપરાશ અને માગમાં વૃદ્ધિ નોંધાશે. પર્સનલ કેરની કિંમતમાં મોટો ઘટાડો નોંધાશે. ઑગસ્ટમાં વરસાદના કારણે પરિવહનમાં અડચણો નડતાં શાકભાજી અને ફળોના ભાવ વધ્યા છે. જ્યારે અનાજ અને કઠોળના ભાવમાં ઘટાડોનો દોર ચાલુ છે. ઇંધણ અને વીજળી પણ સસ્તા થયા છે. આ વર્ષે સાર્વત્રિક ધોરણે વરસાદ સારો રહ્યો છે. જેથી ગ્રામીણ માગ વધવાની શક્યતા છે. તદુપરાંત સરકારી ખર્ચ, ખાસ કરીને મૂડીગત ખર્ચ એપ્રિલથી જુલાઈ દરમિયાન વાર્ષિક ધોરણે 33 ટકા વધ્યો છે. જે નાણાકીય વર્ષ 2025-26ના બીજા છમાસિકમાં મંદ પડશે. જે 10 ટકાના બજેટીય વૃદ્ધિ નજીક રહેવાની શક્યતા છે.