નવી દિલ્હી, તા. 16 ડિસેમ્બર 2019, સોમવાર
ભારતનું નબળું હાઉસહોલ્ડ કન્ઝમ્પશન (ઘરેલું ઉપભોગ) આર્થિક વિકાસને રૂધશે અને વિવિધ ક્ષેત્રોમાં ભારતના ધિરાણદારોની ક્રેડિટ કવોલિટી પર દબાણ લાવશે એમ મૂડી'સ ઈન્વેસ્ટર સર્વિસિઝે જણાવ્યું હતું. વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ મૂડી'સે ૫.૮૦ ટકા પરથી ઘટાડી ૪.૯૦ ટકા મૂકયો છે. ગ્રામ્ય નાણાંકીય તાણ, રોજગાર નિર્માણના નીચા આંક તથા લિક્વિડિટી ખેંચ આર્થિક વિકાસ દર નબળો પાડવા માટેના કારણો છે એમ રેટિંગ એજન્સીના એક રિપોર્ટમાં જણાવાયું છે.
એક વખત જે મંદી ઈન્વેસ્ટમેન્ટને કારણે જણાતી હતી તે હવે નબળા ઉપભોગ સુધી ફેલાઈ છે. કૃષિ વેતન વૃદ્ધિમાં શીથિલતાને કારણે ગ્રામ્ય પરિવારોમાં નાણાંકીય તાણને કારણે ઉપભોગમાં નબળાઈ જોવા મળી રહી છે.
જટિલ જમીન અને શ્રમ ધારાઓને કારણે રોજગાર નિર્માણ પણ નબળા જોવા મળી રહ્યા છે. હાઉસહોલ્ડ કન્ઝમ્પશન એ ભારતની આર્થિક વૃદ્ધિનું મુખ્ય પાસું છે. નાણાં વર્ષ ૨૦૧૮-૧૯માં જીડીપીમાં ઘરેલું વપરાશનો હિસ્સો ૫૭ ટકા રહ્યો હતો.
અન્ય મોટી બજારોની જેમ ભારતનો આર્થિક વિકાસ દર ઘટયો છે. ૨૦૧૯ના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં આર્થિક વિકાસ દર ઘટીને ૪.૫૦ ટકા રહ્યો છે જે જુનમાં પાંચ ટકા રહ્યો હતો.
નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓમાં નાણાંભીડે મંદીને વધુ ઘેરી બનાવી છે. તાજેતરના વર્ષોમાં રિટેલ લોન્સમાં નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓનું યોગદાન મોટું રહ્યું છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ઘરેલું આવકમાં આંચકા જોવા મળી રહ્યા છે પરંતુ ધિરાણની સરળ ઉપલબ્ધતાને કારણે તેની ખાસ અસર અત્યારસુધી જોવા મળતી નહોતી. પરંતુ હાલમાં ધિરાણ ખેંચ ઊભી થતાં આની અસર વિકાસ પર જોવા મળી રહી છે એમ પણ રિપોર્ટમાં નોેંધવામાં આવ્યું છે.
ઉપભોગ વધારવા માટે સરકાર દ્વારા તાજેતરમાં લેવાયેલા કેટલાક પગલાની અસર આ મંદીને ઘટાડવામાં મર્યાદિત રહેશે. રેપો રેટમાં ઘટાડો, ટોર્પોરેટ ટેકસ પર કાપ, ખેડૂતોને ટેકાના ભાવમાં વધારો જેવા પગલાં હાથ ધરવામાં આવ્યા છે.


