PM મુદ્રા યોજના હેઠળ 34.42 કરોડ લોકોને 18.60 લાખ કરોડની લોન આપવામાં આવી : નાણામંત્રાલય
નવી દિલ્હી, તા.9 એપ્રિલ 2022,શનિવાર
નાણા મંત્રી નિર્મલા સીતારમણે એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 7 વર્ષમાં 34.42 કરોડથી વધુ લાભાર્થીઓને લોને પેટે કુલ 18.60 લાખ કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી છે.
નાણામંત્રીએ કહ્યું કે આ યોજના હેઠળ સ્વીકારવામાં આવેલ અરજીઓમાંથી 68 ટકા કરતા વધુ ખાતા મહિલાઓના છે અને 22 ટકા લોન એવા નવા ઉદ્યોગસાહસિકોને આપવામાં આવી છે જેમણે યોજનાની શરૂઆતથી કોઈ લોન નથી લીધી. અત્યાર સુધી મંજૂર કરાયેલી કુલ લોનમાંથી 51 ટકા એસસી/એસટી/ઓબીસી વર્ગના સમુદાયને આપવામાં આવી છે.
નાણા મંત્રાલયના નિવેદન અનુસાર સરેરાશ લોનની રકમ 54,000 રૂપિયાની આસપાસ છે. સ્કીમ હેઠળ આપવામાં આવેલી 86 ટકા લોન 'શિશુ' શ્રેણીની છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત વડાપ્રધાન મોદીએ 8 એપ્રિલ, 2015ના રોજ કરી હતી. તેમાં નોન-કોર્પોરેટ અને બિન કૃષિ નાના/સૂક્ષ્મ ઉદ્યોગોને રૂ. 10 લાખ સુધીની ધિરાણ આપવામાં આવે છે.
આ યોજના હેઠળ સ્વનિર્ભર બનવા માટે લોન આપીને કુલ રૂ. 18.60 લાખ કરોડની રકમ માટે 34.42 કરોડથી વધુ લોન ખાતા ખોલવામાં આવ્યા છે. આ યોજનાએ ખાસ કરીને નાના ઉદ્યોગો માટે એક સાનુકુળ વાતાવરણ બનાવવામાં મદદ કરી છે. આ સ્કીમથી પાયાના સ્તરે રોજગારીની મોટી તકો ઊભી થઈ છે.