Get The App

BS-VIધોરણના અમલથી પેટ્રોલ-ડીઝલ પર આગામી એપ્રિલથી સેસ લાગુ થવા વકી

- રિફાઈનરીઓના અપગ્રેડિંગમાં રૂ.30,000 કરોડનું રોકાણ થયાનો દાવો

Updated: Jul 18th, 2019

GS TEAM

Google News
Google News
BS-VIધોરણના અમલથી પેટ્રોલ-ડીઝલ પર આગામી એપ્રિલથી સેસ લાગુ થવા વકી 1 - image


મુંબઈ, તા.17 જુલાઈ 2019, બુધવાર

ઈંધણના રિટેલરો ભારત સ્ટેજ ૬-ફરજપાલનના ઈંધણના ઉત્પાદન પાછળ વધનારા ખર્ચને ગ્રાહકો પર પસાર કરવાની યોજના ધરાવતા હોવાથી આગામી એપ્રિલથી દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાની સંભાવના રહેલી છે. ચોખ્ખું ઈંધણ ઉત્પન્ન કરવા માટે ઓઈલ રિફાઈનરીઓએ ઉત્પાદન એકમોમાં કરેલા અપગ્રેડિંગ પાછળના ઈન્વેસ્ટમેન્ટને પાછું મેળવી લેવામાં સરકારી ઈંધણ રિટેલરોને ટેકો મળી રહેશે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. 

ભાવ વધારા અંગેનો આખરી નિર્ણય સરકારની મંજુરીને આધીન રહેશે. પોતાની રિફાઈનરીઓને અપગ્રેડસ કરવા કંપનીઓએ રૂપિયા ૩૦,૦૦૦ કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કર્યાનો અંદાજ છે. ભારત ૧લી એપ્રિલથી બીએસ ૬ ઉત્સર્જન ધોરણો લાગુ કરવા યોજના ધરાવે છે. 

બીએસ ૬માં અપગ્રેડિંગ માટે અમે જંગી માત્રામાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે અને આ રોકાણ પર અમને વળતર મળી રહે તેવી અમારી ઈચ્છા છે. કોસ્ટ રિકવર કરવા માટે જ ભાવ વધારવાનું વિચારાઈ રહ્યું છે અને નહીં કે નફો કરવા એમ પણ સુત્રોએ જણાવ્યું હતું. 

ભાવમાં પ્રતિ લિટર વધુમાં વધુ રૂપિયા બે સુધીનો વધારો થઈ શકે છે, જે સ્પેશ્યલ સેસ અથવા ડયૂટીના સ્વરૂપમાં વસૂલવામાં આવશે. ચોખ્ખું ઈંધણ ઉત્પન્ન કરવા વધારાના ઈન્વેસ્ટમેન્ટને પાછું મેળવવા ધ ઓટો ફ્યુઅલ વિઝન એન્ડ પોલિસી ૨૦૨૫ હેઠળ ૭૫ પૈસા સેસની ભલામણ કરાઈ હતી. 

પેટ્રોલ તથા ડીઝલ માટેના ભાવ અલગઅલગ રહેશે અને તે દરેક કંપનીઓએ કરેલા રોકાણને ધ્યાનમાં રાખી સરેરાશ વધારાશે. ભાવ વધારો આવશે તો વપરાશકારોએ બમણો માર ખમવો પડશે. નાણાં વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં ઈંધણ પર સરકારે પ્રતિ લિટર કુલ રૂપિયા બેનો સેસ લાગુ કર્યો છે. 

ભાવવધારાથી વપરાશકારો પર બોજો વધી જશે પરંતુ દેશના વાતાવરણ માટે તે ફાયદાકારક રહેશે કારણ કે નવા ધોરણથી પ્રદૂષણમાં ઘટાડો થશે એવો સરકાર તરફથી દાવો કરાઈ રહ્યો છે. ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવને ક્ડ ઓઈલના વૈશ્વિક ભાવ સાથે જોડી દેવાયા છે. દેશના મહાનગરોમાં ફેલાતા પ્રદૂષણને અટકાવવા સરકાર બીએસ - ૬ ધોરણ લાગુ કરવા કટિબદ્ધ છે. 

Tags :