Business

IPOની અપેક્ષાને કારણે NSEમાં રિટેલ રોકાણકારોની સંખ્યામાં ચાર ગણો વધારો

By GS TEAM
26 Jul 20252 mins read
IPOની અપેક્ષાને કારણે NSEમાં રિટેલ રોકાણકારોની સંખ્યામાં ચાર ગણો વધારો

અમદાવાદ : બહુપ્રતિક્ષિત પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ)ની અપેક્ષાને કારણે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)માં છૂટક રોકાણકારોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે. જૂન ૨૦૨૫ સુધીમાં એક્સચેન્જનો પબ્લિક શેરહોલ્ડર બેઝ વધીને ૧.૫૭ લાખ થયો છે, જે માર્ચના અંતથી ચાર ગણો વધારો છે.

રિટેલ રોકાણકારો આ રેસમાં સૌથી આગળ છે. ૨ લાખ રૂપિયા સુધીની શેર મૂડી ધરાવતી વ્યક્તિને રિટેલ રોકાણકાર ગણવામાં આવે છે. માર્ચમાં તેમની સંખ્યા લગભગ ૩૪,૦૦૦ હતી, જે જૂન સુધીમાં વધીને ૧.૪૬ લાખ થઈ ગઈ છે. આ રીતે, દેશના સૌથી મોટા એક્સચેન્જમાં તેમનો સામૂહિક હિસ્સો ૯.૮૯ ટકાથી વધીને ૧૧.૮૧ ટકા થયો હતો.

આ ઉછાળો એક મહત્વપૂર્ણ ઓપરેશનલ પરિવર્તનને કારણે આવ્યો છે: ૨૪ માર્ચે એનએસઈના ઇન્ટરનેશનલ સિક્યોરિટીઝ આઇડેન્ટિફિકેશન નંબર - વૈશ્વિક કોડે શેર ટ્રાન્સફર પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરી છે, જેનાથી વ્યવહારનો સમય મહિનાઓથી ઘટાડીને ફક્ત થોડા દિવસોનો થઈ ગયો છે. બજારના સહભાગીઓએ પુષ્ટિ આપી છે કે શેર હવે મુક્તપણે ટ્રાન્સફર કરી શકાય છે. ખરીદદારો અને વેચાણકર્તાઓ બંને તરફથી સારી માત્રામાં વેચાણ થાય છે.

માંગમાં વધારાને કારણે એનએસઈ ના અનલિસ્ટેડ શેરનો ભાવ પ્રતિ શેર રૂ. ૨,૨૨૫ સુધી વધ્યો છે, જેના કારણે એક્સચેન્જનું મૂલ્યાંકન લગભગ રૂ. ૫.૫ લાખ કરોડ થઈ ગયું છે. જે ચાલુ નાણાકીય વર્ષની શરૂઆત કરતા ઘણું વધારે છે.

અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, આ વૃદ્ધિ એક્સચેન્જમાં રિટેલના વધતા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે, જે તેમના માટે સંપત્તિ સર્જન માટેની તક છે. અમે કેટલાક લાંબા ગાળાના શ્રીમંત રોકાણકારોને (એચએનઆઈ) તેમના હિસ્સામાં ઘટાડો કરતા જોઈ રહ્યા છીએ.

રિટેલ માલિકીમાં વધારો થયો છે. પરંતુ રૂ. ૨ લાખથી વધુ શેર મૂડી ધરાવતા વ્યક્તિગત જાહેર શેરધારકોનો હિસ્સો થોડો ઘટીને ૯.૫૨ ટકા (૯.૬૪ ટકા) થયો છે.