Business

NSEને IPO માટે ટૂંક સમયમાં મંજૂરી આપવામાં આવશે : સેબી

By GS TEAM
14 Sep 20252 mins read
NSEને IPO માટે ટૂંક સમયમાં મંજૂરી આપવામાં આવશે : સેબી

મુંબઈ : નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ની શેરોની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ)ને ટૂંક સમયમાં મંજૂરી અપાઈ શકે છે એમ મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ચેરેમેને સેબી બોર્ડ મીટિંગ સમયે જણાવ્યું હતું.

સેબી ચેરમેન તુહિન કાંતા પાંડેએ જણાવ્યું હતું કે, નવા ચેરમેનની નિમણૂક પછી એનએસઈને આસપાસના ઘણા પડતર મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે, જેનાથી એક્સચેન્જના લાંબા સમયથી રાહ જોવાતી લિસ્ટિંગનો માર્ગ મોકળો થયો છે.

સેબી તરફથી જરૂરી મંજૂરી મળ્યા બાદ શેર બજાર લાંબા સમયથી રાહ જોવાતી પબ્લિક લિસ્ટિંગ માટેની તૈયારી કરી રહ્યું છે, જે આઠથી નવ મહિનામાં થઈ શકે છે. ૧૦, સપ્ટેમ્બરના રોજ, એનએસઈનો મેનેજિંગ ડિરેકટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે, નિયામક તંત્ર તરફથી નો ઓબ્જેકશન સર્ટિફિકેટ (એનઓસી) મળ્યાના લગભગ આઠથી નવ મહિના પછી એક્સચેન્જ લિસ્ટ થવાની અપેક્ષા રાખે છે. તેમણે કહ્યું હતું કે, એનએસઈ પહેલાથી જ ઘણા લોકોનંા  હોલ્ડિંગ ધરાવે છે, જેમાં ૧.૭ લાખથી વધુ શેરધારકો છે, જે તેને આઈપીઓ માટે આગળ વધતી મોટાભાગની કંપનીઓથી માળખાકીય રીતે અલગ બનાવે છે.

ચૌહાણે એનએસઈની ભારતની નાણાકીય વ્યવસ્થાના મુખ્ય સ્તંભ તરીકેની સ્થિતિ પર પણ ભાર મૂક્યો, તેને દેશની પ્રથમ અને સૌથી મોટી ફિનટેક ગણાવી અને ઊભરતી અર્થવ્યવસ્થામાં મોટાપાયે મૂડી નિર્માણને સક્ષમ બનાવવામાં તેની ભૂમિકા પર પ્રકાશ પાડયો હતો.

શેરધારકોએ સૌપ્રથમ ૨૦૧૬માં તેના ડ્રાફ્ટ પેપર્સ ફાઈલ કર્યા હતા, જેથી હાલના શેરધારકો દ્વારા વેચાણ માટે ઓફર દ્વારા રૂ.૧૦,૦૦૦ કરોડ એકત્ર કરી શકાય, જેઓ ૨૨ ટકા શેર પબ્લિક માટે વેચવા માગતા હતા. જો કે, ગવર્નન્સ અને કો-લોકેશન બાબતને લગતી નિયમનકારી ચિંતાઓને કારણે સેબી દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી, ત્યારથી એનએસઈએ ક્લિયરન્સ માટે ઘણી વખત સેબીનો સંપર્ક કર્યો છે.