મુંબઈ : નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)એ જાહેર કર્યું છે કે, ક્લોઝિંગ ઓક્શન સેશન (સીએએસ)ના રોલઆઉટના ભાગરૂપે ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગ્મેન્ટ માટે સામાન્ય બજાર બંધ થવાનો સમય ૧૦ મિનિટ વધારીને બપોરે ૩:૪૦ વાગ્યા સુધી કરવામાં આવશે. ક્લોઝિંગ ઓક્શન સેશન એ દિવસના અંતે એક સારી રીતે વ્યાખ્યાયિત, ટૂંકો ટ્રેડિંગ સમયગાળો છે, જ્યાં બજારના સહભાગીઓ સિક્યુરિટીઝ માટે એક જ, વાજબી બંધ ભાવ નક્કી કરવા માટે ખરીદી અથવા વેચાણના ઓર્ડર સબમિટ કરે છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)એ ઈક્વિટી ડેરિવેટિવઝ કોન્ટ્રેક્ટ માટે સામાન્ય બજાર બંધ થવાનો સમય બપોરે ૩:૪૦ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. જે ડેરિવેટિવ્ઝ માર્કેટ ઓપરેશન્સને કેશ સેગ્મેન્ટમાં નવા રજૂ કરાયેલ ક્લોઝિંગ ઓક્શન મિકેનિઝમ સાથે સંરેખિત કરશે. પ્રી-ઓપન સત્ર અને ટ્રેડ મોડિફિકેશન વિન્ડો સહિત અન્ય સત્રનો સમય યથાવત રહેશે એમ એનએસઈ એક સર્કયુલરમાં જણાવ્યું છે.
એક્સચેન્જે જણાવ્યું હતું કે, ક્લોઝિંગ ઓકશન સત્રના સંદર્ભમાં રજૂ કરાયેલ પ્રાઈસ બેન્ડ અને પ્રી-ટ્રેડ રિસ્ક કંટ્રોલ સંબંધિત જોગવાઈઓ ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગ્મેન્ટ પર પણ લાગુ પડશે. આ પગલાંનો ઉદ્દેશ દિવસના અંતે ટ્રેડિંગ પ્રક્રિયા દરમિયાન કેશ અને ડેરિવેટિવ્ઝ બજારો વચ્ચે સરળતા સાથે સુસંગતતા સુનિશ્ચિત કરવાનો છે.
ઓપરેશનલ ફેરફારોના ભાગરૂપે, કેશ માર્કેટમાં ક્લોઝિંગ ઓક્શન સત્ર શરૂ થયા પછી, જ્યારે પણ સ્ટોક ફયુચર્સ કોન્ટ્રેક્ટ માટે ઓપરેટિંગ પ્રાઈસ રેન્જ રીસેટ થશે, ત્યારે એનએસઈ સૂચનાઓ પ્રસારિત કરશે. સુધારેલા ભાવ રેન્જની બહાર આવતા બાકી ઓર્ડર હાલના એક્સચેન્જ નિયમો અનુસાર આપમેળે રદ કરવામાં આવશે.
એક્સચેન્જે સ્પષ્ટતા કરી છે કે, ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટના બંધ ભાવોની ગણતરી માટે ઉપયોગમાં લેવાતી પદ્વતિમાં કોઈ ફેરફાર થશે નહીં. જો કે, ક્લોઝ-પ્રાઈસ નિર્ધારણ માટે ઉપયોગમાં લેવાતી વોલ્યુમ-વેઈટેડ એવરેજ પ્રાઈસ (વીડબલ્યુએપી) વિન્ડોની ગણતરી હવે બપોરે ૩:૧૦ થી ૩:૪૦ વાગ્યાની વચ્ચે કરવામાં આવેલા સોદાઓનો ઉપયોગ કરીને કરવામાં આવશે, જે સુધારેલા બજાર બંધ સમયને પ્રતિબિંબિત કરે છે.
આ ઉપરાંત એક્સચેન્જે કહ્યું છે કે, અમલીકરણથી ઉદ્દભવતા કાર્યાત્મક ફેરફારોને આગામી મોક ટ્રેડિંગ સત્રો દરમિયાન પરીક્ષણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. બ્રોકરોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ અસરકારક તારીખ પહેલા તેમની ટ્રેડિંગ અરજીઓમાં સંબંધિત કોન્ટ્રેકટ ફાઈલો અપડેટ કરે જેથી સરળ કામગીરી સુનિશ્ચિત થાય.
ક્લોઝિંગ ઓક્શન સત્રની શરૂઆત બજાર માખળામાં એક મહત્વપૂર્ણ પરિવર્તન છે અને તે ભાવ શોધમાં વધારો કરશે, બજાર બંધ થવા સમયે બજારની ઈન્ટીગ્રિટીમાં સુધારો કરશે અને સ્થાનિક બજાર પ્રથાઓને આંતરરાષ્ટ્રીય ધોરણોની નજીક લાવશે તેવી અપેક્ષા છે.


