ગ્રે માર્કેટમાં NSEના શેરનો ભાવ વિક્રમી ટોચે, માર્કેટ કેપની દ્રષ્ટિએ 11મા ક્રમે
- સેબી સાથે કેસ સેટલ કરવા અને લિસ્ટિંગનો આશાવાદ વધતાં રોકાણકારોનો રસ વધ્યો
અમદાવાદ : નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના શેરનો ભાવ તાજેતરમાં ગ્રે માર્કેટમાં રૂ. ૨,૨૦૦ની વિક્રમી ટોચે પહોંચ્યો છે. એક્સચેન્જ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) સાથે કેસ સેટલ કરવા અને તેની પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ) યોજનાઓને પુનર્જીવિત કરવા માટે રૂ. ૧,૦૦૦ કરોડ ચૂકવવા તૈયાર હોવાના અહેવાલોની અસર જોવાઈ હતી.
માર્કેટ કેપની દ્રષ્ટિએ એનએસઈ ભારતની ૧૧મી સૌથી મૂલ્યવાન કંપની કહી શકાય. જેનું મૂલ્ય રૂ. ૫.૪૪ લાખ કરોડ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂ. ૧૯.૨ લાખ કરોડ સાથે યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ એચડીએફસી બેંક અને ટીસીએસ રૂ. ૧૪.૭ લાખ કરોડ અને રૂ. ૧૨.૬ લાખ કરોડ સાથે આવે છે.
હરીફ બીએસઈનું માર્કેટ કેપ રૂ. ૯૭,૮૪૦ કરોડ છે, જે એનએસઈના પાંચમા ભાગ કરતાં પણ ઓછું છે. બીએસઈનો શેર રૂ. ૨,૪૦૦ પર ટ્રેડ થઈ રહ્યા છે.ગ્રે માર્કેટમાં એનએસઈના શેરની ભારે માંગ ૨૦૧૭માં લિસ્ટિંગ સમયે બીએસઈના વળતરને કારણે છે. બીએસઈનો આઈપીઓ પહેલાનો ભાવ રૂ. ૨૦૦ હતો. ઇશ્યૂ ભાવ રૂ. ૮૦૬ હતો અને એનએસઈ પર લિસ્ટિંગ ભાવ રૂ. ૧,૦૬૯ હતો.
એનએસઈ છેલ્લા દાયકાથી આઈપીઓ માટે પ્રયાસ કરી રહ્યું છે. તેણે ૨૦૧૬માં પહેલી વાર અરજી કરી હતી. જોકે, તેની યોજનાઓમાં મોટી સંખ્યામાં વિવાદો આવ્યા હતા. ગયા અઠવાડિયે, સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ જણાવ્યું હતું કે નિયમનકાર વિવિધ મુદ્દાઓને ઉકેલવા માટે એક્સચેન્જ સાથે કામ કરી રહ્યું છે. આનાથી આશા જાગી છે કે એનએસઈ ટૂંક સમયમાં લિસ્ટેડ થઈ શકે છે.
એક્સચેન્જે માર્ચમાં રૂ. ૩,૭૭૧ કરોડની કાર્યકારી આવક નોંધાવી હતી, જે પાછલા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. ૪,૬૨૫ કરોડની સરખામણીમાં વાર્ષિક ધોરણે ૧૮% ઓછી છે.