મુંબઇ : પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે નોમુરાએ આગામી નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દર (જીડીપી) અંદાજ જે અગાઉ ૭.૧૦ ટકા મૂકયા હતા તે સાધારણ ઘટાડી ૭ ટકા કર્યો છે.
આગામી નાણાં વર્ષ માટે ભારતની ચાલુ ખાતાની ખાધની અમારી ધારણાં વધારી જીડીપીના ૧.૬૦ ટકા કરીએ છીએ અને ફુગાવાનો અંદાજ વધારી ૪.૫૦ ટકા મૂકીએ છીએમ નોમુરાના એક રિપોર્ટમાં જણાવાયું છે.
ઊર્જા ખર્ચમાં વધારો કિંમતો પર દબાણ લાવી રહ્યો છે અને એશિયાના મોટાભાગના દેશોમાં ફુગાવો હાલના સ્તરેથી ઊંચે જવા ધારણાં છે. અમેરિકા-ઈરાન તાણને ધ્યાનમાં રાખતા પશ્ચિમ એશિયાની મોટાભાગની કેન્દ્રીય બેન્કો વ્યાજ દર જાળવી રાખશે તેવી અપેક્ષા છે, પરંતુ તેમાં વધારો થવાની શકયતા પણ ઘણી ઊંચી છે.
૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિકમાં ઉપભોગ તથા ઉદ્યોગમાં ગતિશીલતા જળવાઈ રહી છે પરંતુ નિકાસ તથા સરકારી ખર્ચ નબળા પડયા હોવાના સંકેત મળી રહ્યા છે.
પશ્ચિમ એશિયામાં તંગદિલીને કારણે ઊર્જાની અછત ખાસ કરીને કુદરતી ગેસની અછતથી ઘરઆંગણે ઓદ્યોગિક તથા સેવા પ્રવૃત્તિ ખોરવાઈ જવાની શકયતા રહેલી છે.
એલપીજીની કિંમત વધતા આગામી નાણાં વર્ષ માટેના ફુગાવાના અંદાજને પણ ૩.૮૦ ટકા પરથી વધારી ૪.૫૦ ટકા કરાયો છે. દરમિયાન ક્રિસિલ દ્વારા આગામી નાણાં વર્ષ માટે ભારતનો આર્થિક વિકાસ દરનો અંદાજ ૭.૧૦ ટકા મુકાયો છે.


