OTP જેવા જરૂરી SMS મેળવવામાં પડી રહી છે મુશ્કેલી! ટેલિકોમ કંપનીઓએ લાગુ કર્યો નવો નિયમ
- અનિચ્છનીય કોલ અને ફેક મેસેજની મુશ્કેલીથી બચાવવા ટ્રાઈએ નવા નિયમ લાગુ કર્યા
નવી દિલ્હી, તા. 9 માર્ચ, 2021, મંગળવાર
અનિચ્છનીય કોલને લઈ સરકારના આકરા વલણ બાદ હવે ટેલિકોમ કંપનીઓએ આ અંગે નવો નિયમ લાગુ કર્યો છે. આ કારણે લાખો ગ્રાહકોને OTP જેવા જરૂરી SMS મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ સમસ્યા આગામી થોડા દિવસો સુધી ભોગવવી પડશે. આ કારણે કન્ઝ્યુમર્સને આધાર ઓટીપી, કોવિડ પ્લેટફોર્મ દ્વારા વેક્સિનેશન સહિતના જરૂરી કાર્યો માટે મોકલવામાં આવતા એસએમએસ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.
મુશ્કેલીનું કારણ:
દૂરસંચાર નિયમાક ટ્રાઈએ ગ્રાહકોને અનિચ્છનીય કોલ અને ફેક મેસેજની મુશ્કેલીથી બચાવવા ટેલિકોમ કંપનીઓને ગ્રાહકોના રજિસ્ટ્રેશન અને માનકતાના નવા નિયમો લાગુ કરવા કહ્યું છે. આ કારણે ટેલિકોમ ઓપરેટર કંપનીઓએ રવિવાર રાતથી તે નિયમ લાગુ કરી દીધો છે.
જલ્દી સમાધાન:
આ કારણે સોમવારથી જ અનેક ગ્રાહકોને વિવિધ ઉપયોગી મેસેજ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. જો કે, ટેલિકોમ કંપનીએ ટૂંક સમયમાં જ આ સમસ્યાનું સમાધાન આવી જશે તેવી ધરપત આપી છે.
ટ્રાઈએ અનિચ્છનીય કોલ અને મેસેજ રોકવા માટે ઓપરેટર્સને બ્લોકચેન તકનીકનો ઉપયોગ કરવા કહ્યું હતું. સરકાર પણ આ મામલે સખત બની છે અને ગ્રાહકોને બિનજરૂરી કોમર્શિયલ કોલ કે મેસેજ મોકલનારી કંપનીઓને દંડ કરવાની જોગવાઈ થઈ રહી છે.