Business

ચાંદી, કોપર તથા ઝિંકની ઉપલબ્ધતા વધારવા બજેટમાં નવી નીતિ જાહેર થશે

By GS TEAM
13 Jan 20262 mins read
ચાંદી, કોપર તથા ઝિંકની ઉપલબ્ધતા વધારવા બજેટમાં નવી નીતિ જાહેર થશે

મુંબઈ : દેશમાં માઈનિંગ ક્ષેત્રે રિફોર્મ્સને આગળ વધારવા નાણાં વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં ખાસ નીતિ જાહેર થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ચાંદી, કોપર તથા ઝિંકનું ઘરઆંગણે જ ઉત્પાદનમાં વધારો કરવા સરકાર ખાસ નીતિ જાહેર કરશે તેવી શકયતા છે. આ અંગે સરકારી સ્તરે ચર્ચા પણ ચાલી રહી હોવાનું આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું. 

માઈનિંગમાં ખાનગી ક્ષેત્રના ખેલાડીઓ માટે મોટી ભૂમિકા જાહેર કરાશે અને ચાંદી, કોપર તથા ઝિંકના ઘરઆંગણે પ્રોસેસિંગ વધારવા પ્રોત્સાહન પૂરા પડાશે. આ ત્રણેય ધાતુની દેશમાં ઔદ્યોગિક માગ વધી રહી છે, જ્યારે પૂરવઠા ખેંચ વર્તાઈ રહી છે જેને પરિણામે તેના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.

ભારત ચાંદી તથા કોપરની મોટી માત્રામાં આયાત કરે છે. મેટલ્સની ઉપલબ્ધતા વધારવા બાબતે ચર્ચા ચાલી રહી છે. ચાંદી, કોપર તથા ઝિંક મેન્યુફેકચરિંગ માટે જરૂરી છે. આ ધાતુઓના ભારત કેટલાક સ્રોત સ્તર ધરાવી રહ્યું છે.

વિવિધ ધાતુઓમાં ચાંદી, ઝિંક તથા કોપર પ્રાથમિક અગ્રતાઓ છે. માઈનિંગ માટે નવી નીતિ જાહેર કરવા પાછળનો હેતુ  ઘરઆંગણેના સ્રોતોનો સારી રીતે ઉપયોગ કરવાનો રહેલો છે. હાલની ખાણોમાંથી રિકવરી વધારવા તથા ખાનગી ખેલાડીઓનો સહભાગ મેળવી ક્ષમતા વિસ્તરણ કરવાની પણ સરકાર દરખાસ્ત ધરાવતી હોવાનું સુત્રોએ ઉમેર્યું હતું. 

આ ધાતુઓની હાલમાં વૈશ્વિક સ્તરે પૂરવઠા ખેંચ વર્તાઈ રહી છે. ખાસ કરીને સિલ્વરની રિકવરી તથા રિફાઈનિંગમાં વધારો કરવાની યોજના છે. ચાંદી એ કોપર તથા ઝિંક માઈનિંગની બાય-પ્રોડકટ તરીકે ઉત્પન્ન થાય છે. 

ભારત ચાંદીનો મોટો વપરાશકાર દેશ છે પરંતુ તેણે તેની માગ આયાત દ્વારા પૂરી કરવી પડે છે. ચીન એ ચાંદીનો મોટો નિકાસકાર દેશ છે. જો કે કેટલીક મેટલ્સની નિકાસ  પર તેણે તાજેતરમાં અંકૂશો મૂકી દીધા છે. 

ભારતે  ઉત્પાદન ક્ષેત્રમાં પ્રગતિ કરવી હશે તો મહત્વની ધાતુઓની સતત આયાત નિર્ભરતા લાંબો સમય સુધી ચલાવી શકાય નહીં, એવો પણ સરકારી સ્તરે મત પ્રવર્તી રહ્યો છે. ઈલેકટ્રોનિકસ, સોલાર પેનલ્સ તથા વીજ વાહનોના ઉત્પાદનમાં ચાંદીનો વ્યાપક ઉપયોગ થાય છે.