New Income Tax Bill 2025: TDS રિફંડ, મંદિર-ટ્રસ્ટ પર લાગુ ટેક્સના માળખામાં થશે ફેરફાર!
New Income Tax Bill: નવા આવકવેરા બિલ 2025ની સમીક્ષા કરી રહેલી સંસદીય સમિતિએ સોમવારે ભલામણ કરી હતી કે, વ્યક્તિગત કરદાતાઓને નિયત તારીખ પછી પણ દંડ ચૂકવ્યા વિના ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી TDS રિફંડનો દાવો કરવાની મંજૂરી આપવી જોઈએ. સમિતિ માને છે કે, સામાન્ય રીતે આ પ્રકારના રિટર્ન ફાઇલ કરનારાઓ કરદાતાઓએ રિટર્ન ફાઇલ કરવાની જરૂર હોતી નથી. જેથી આ જોગવાઈ તેમના માટે બિનજરૂરી અવરોધ બની રહી છે.
ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટો માટે રાહતની માંગ
સમિતિએ એવું પણ સૂચન કર્યું કે ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટો દ્વારા પ્રાપ્ત અનામી દાનને કરવેરામાંથી મુક્તિ આપવામાં આવે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દાન પેટીઓ જેવા પરંપરાગત માધ્યમો દ્વારા પ્રાપ્ત દાનમાં દાતાની ઓળખ કરવી શક્ય નથી. તેથી, આવા ટ્રસ્ટો પર કર લાદવાથી ધાર્મિક સંસ્થાઓની નાણાકીય સ્વતંત્રતા પર અસર થઈ શકે છે.
NPOની આવક પર કર લાદવાનો વિરોધ
સંસદીય સમિતિએ આવકવેરા બિલની બિન-લાભકારી સંસ્થાઓ(NPO)ની 'રસીદો' પર કર લાદવાની જોગવાઈનો પણ વિરોધ કર્યો છે. સમિતિ કહે છે કે, આ જોગવાઈ વર્તમાન આવકવેરા કાયદા 1961ના સિદ્ધાંતની વિરુદ્ધ છે, જેના હેઠળ ફક્ત 'કુલ આવક' પર કર લાદવામાં આવે છે. તેમણે સૂચન કર્યું કે 'રસીદ' ને બદલે 'આવક' શબ્દ ફરીથી લાગુ કરવો જોઈએ, જેથી ફક્ત ચોખ્ખી આવક પર જ કર લાદવામાં આવે.
અનામી દાન પર 30% કરનો પ્રસ્તાવ અન્યાયી
આવકવેરા બિલ 2025ની કલમ 337માં તમામ રજિસ્ટર્ડ NPO દ્વારા પ્રાપ્ત અનામી દાન પર 30% કર લાદવાનો પ્રસ્તાવ છે. જેમાં ફક્ત ધાર્મિક ટ્રસ્ટોને આંશિક મુક્તિ આપવામાં આવી છે. સમિતિએ આ જોગવાઈને પણ અન્યાયી ગણાવતાં કહ્યું છે કે, તે વર્તમાન કાયદા(આવકવેરા અધિનિયમ 1961ની કલમ 115BBC)થી વિપરિત છે, જેમાં વધુ વ્યાપક મુક્તિ પ્રદાન કરે છે.
સરળતાને બદલે અસ્પષ્ટતા વધારવાનો આરોપ
સમિતિએ ટિપ્પણી કરી છે કે બિલનો ઉદ્દેશ સરળતા હોઈ શકે છે, NPO સંબંધિત કર મુક્તિની વ્યાખ્યાઓમાં અસ્પષ્ટતા મૂંઝવણ વધારી શકે છે. તેમણે સરકારને વિનંતી કરી છે કે 1961ના કાયદાની કલમ 115BBC અનુસાર અનામી દાન પર કરવેરા મુદ્દે સ્પષ્ટતા કરતી જોગવાઈનો સમાવેશ કરવામાં આવે.
એનપીઓ અને કરદાતાઓ માટે રાહતના સંકેતો
બૈજયંત પાંડાની આગેવાની હેઠળની આ સમિતિની ભલામણોને નવા બિલમાં સમાવવામાં આવે, તો તે વ્યક્તિગત કરદાતાઓ અને બિન-લાભકારી સંસ્થાઓ બંનેને રાહત આપી શકે છે. કર પ્રણાલીને સરળ બનાવવાની સાથે, આ સૂચનો ભારતની સામાજિક અને ધાર્મિક સંસ્થાઓને નાણાકીય સ્થિરતા પણ પ્રદાન કરી શકે છે.