Get The App

આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી ’મૂન મિશન’?

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી ’મૂન મિશન’? 1 - image
AI Image

NASA Artemis Mission: નાસાનું આર્ટિમિસ-2 મિશન 54 વર્ષ બાદ મનુષ્યને ચંદ્રની આસપાસ લઈ જનારું પહેલું માનવ મિશન છે. આ ફક્ત એક મિશન નથી, પરંતુ અંતરિક્ષ યાત્રાના એક નવા યુગની શરૂઆત માનવામાં આવી રહ્યું છે. 1972માં એપોલો 17 બાદ પહેલી વાર મનુષ્ય ચંદ્રની નજીક જઈ રહ્યો છે. આ મિશનમાં ચાર અંતરિક્ષ યાત્રી ઓરિયન કેપ્સૂલમાં બેસીને ચંદ્રની આસપાસ ફરશે અને ધરતી પર પરત ફરશે. આ મિશનમાં કોઈ પણ જગ્યાએ લેન્ડ કરવાનું મિશન નથી. જોકે આ મિશન દ્વારા ચંદ્ર પર કેવી રીતે લેન્ડ કરવું અને મંગળ ગ્રહ માટેના મિશનના ઘણાં દરવાજા ખૂલશે.

મનુષ્ય, સ્પેસ મિશન અને વિજ્ઞાનને શું ફાયદો થશે?

આર્ટિમિસ-2 દ્વારા મનુષ્યને સૌથી મોટો ફાયદો એ થશે કે આ મિશન દ્વારા ફરી ચંદ્રની યાત્રા શરૂ કરવામાં આવી રહી છે. એનાથી યુવા પેઢીને સ્પેસમાં વધુ રસ જાગશે. આ માટે નવા વૈજ્ઞાનિકો તૈયાર થશે. સ્પેસ મિશન માટે આ ખૂબ જ જરૂરી છે કારણ કે ઓરિયન સ્પેસક્રાફ્ટ દ્વારા SLS રોકેટ અને ડીપ સ્પેસમાં મનુષ્યની સુરક્ષા માટેની પુષ્ટિ કરવામાં આવશે. આ મિશન સફળ રહ્યું તો આર્ટિમિસ-3 દ્વારા ચંદ્ર પર ઉતરવું અને આર્ટિમિસ-4 દ્વારા ચંદ્ર પર બેઝ બનાવવાની પ્રક્રિયાની શરૂઆત થશે. આ માટે સાયન્સને પણ ખૂબ જ ફાયદો થશે કારણ કે એના દ્વારા ચંદ્રના પાછળના ભાગના ઘણાં ડેટા મળશે. રેડિએશન અને ડીપ સ્પેસની મનુષ્ય પર શું અસર પડે છે એની જાણકારી પણ આ મિશન પરથી મળશે. આ ડેટા ભવિષ્યમાં મંગળ ગ્રહ પર જવા માટેના મિશન માટે ઘણાં કામ આવશે. આ મિશન મનુષ્યને ચંદ્ર અને એનાથી આગળ જવા માટેનો નવો રસ્તો માનવામાં આવી રહ્યું છે.

54 વર્ષ બાદ આ મિશનની કેમ જરૂર પડી?

એપોલો મિશન 1972માં પૂરું થયું હતું અને ત્યાર બાદ અમેરિકા દ્વારા ચંદ્ર પર જવાના મિશનને બંધ કરી દેવામાં આવ્યું હતું. એ સમયે રાજનૈતિક અને આર્થિક કારણસર પૃથ્વીની લો ઓર્બિટ પર ધ્યાન હટાવી લેવામાં આવ્યું હતું. જોકે હવે 2026માં દુનિયા બદલાઈ ગઈ છે. ચંદ્ર પર પાણી અને અન્ય વસ્તુઓની પુષ્ટિ મળી આવી છે. આથી એની શોધ સ્પેસ ઇકોનોમી માટે ખૂબ જ જરૂરી છે. આ માટે નાસા દ્વારા આર્ટિમિસ શરૂ કરવામાં આવ્યું છે. આર્ટિમિસ-2 આ પ્રોગ્રામનું બીજું અને સૌથી મહત્ત્વનું મિશન છે. આ મિશન દ્વારા મનુષ્ય ફરી ચંદ્રની ખૂબ જ નિકટ જશે.

પ્રાઇવેટ કંપનીઓ પણ કરી રહી છે મિશન?

આ મિશન ફક્ત અને ફક્ત નાસાનું સરકારી મિશન છે. એમાં અમેરિકાની સરકારના પૈસાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોકે એમ છતાં SpaceX અને Blue Origin જેવી કંપનીઓ આ મિશનમાં તેમનો સપોર્ટ કરી રહી છે. જોકે મિશનનું મુખ્ય સંચાલન નાસા અને અમેરિકાની સરકારના હાથમાં છે. પ્રાઇવેટ કંપનીઓ ભવિષ્યમાં ચંદ્ર પર લેન્ડર અને અન્ય સેવાઓ આપશે, પરંતુ આર્ટિમિસ-2 હજી પણ સરકારી મિશન છે.

શું આ એલિયનની શોધ માટેનું મિશન છે?

આર્ટિમિસ-2નો મુખ્ય ઉદ્દેશ એલિયનની શોધ માટે નથી. વૈજ્ઞાનિક રૂપે ચંદ્રને સ્ટડી કરવા માટેનું આ મિશન છે. આ સાથે જ આ મિશન માટે જેટલા પણ સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એને પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. એલિયનનું જીવન અથવા તો તેમને શોધવા માટે અલગ-અલગ મિશન છે, જેમાં Europa Clipper અને Mars Sample Returnનો સમાવેશ થાય છે.

ચીન અને રશિયા સાથે સ્પર્ધા

ચીન અને રશિયા સ્પેસ મિશનમાં ખૂબ જ આગળ નીકળી ગયા છે. ચીન પણ ખૂબ જ જલદી ચંદ્ર પર જવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. તેમણે ચાંગ’ઈ મિશન હેઠળ ચંદ્રનું સેમ્પલ લાવ્યું હતું. ચીન દ્વારા 2030 સુધીમાં ચંદ્ર પર તેમનો બેઝ બનાવવાની યોજના બનાવવામાં આવી છે. રશિયા પણ ચંદ્રની સાથે મળીને ઇન્ટરનેશનલ લુનાર રિસર્ચ સ્ટેશન બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. અમેરિકા પાછળ રહ્યું તો ચંદ્ર પર ચીનનો દબદબો બની શકે છે. આથી નાસા દ્વારા આર્ટિમિસ-2 હેઠળ ચંદ્રનું મિશન ફરી શરૂ કરવામાં આવ્યું છે.

શું અમેરિકા પોતાનો દબદબો બનાવવા માગે છે?

અમેરિકા માટે આ ખૂબ જ મહત્ત્વનું છે. અમેરિકા ચંદ્ર પર આર્ટિમિસ-2 દ્વારા હવે એક બેઝ બનાવવા માગે છે. ત્યાં પાણીના બરફ અને હીલિયમ-3 જેવી ઘણી બાબતો છે જે ભવિષ્યમાં ઊર્જા અને ઇંધણ તરીકે કામ આવી શકે છે. આથી અમેરિકા ઇચ્છે છે કે ચંદ્ર પર તેમનો દબદબો બની રહે.

આ પણ વાંચો: દસ વર્ષ પહેલાં Fire Phoneની નિષ્ફળતા બાદ સ્માર્ટફોનમાં કમબેક કરવાની Amazon યોજના, જાણો વિગત…

આર્ટિમિસ-2નું મુખ્ય કારણ

આર્ટિમિસ-2 મિશનનું મુખ્ય કારણ ચંદ્ર પર જઈને મનુષ્ય અંતરિક્ષ મિશનને એક નવી દિશા આપવાનું છે. આ મિશન હેઠળ ભવિષ્યના મંગળ મિશનની તૈયારીઓ કરવામાં આવશે. ચીનના સ્પેસમાં દબદબાને ઓછું કરવા અને ચંદ્ર પર પોતાનું કન્ટ્રોલ બનાવી રાખવું એ અમેરિકાના મુખ્ય કારણ છે.