અમદાવાદ : ભારતનું માઇક્રોફાઇનાન્સ ક્ષેત્ર લાંબા ગાળાની મંદીમાંથી બહાર આવી રહ્યું હોય તેવું લાગે છે. માઇક્રોફાઇનાન્સ ઇન્સ્ટિટયૂટ નેટવર્ક દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના ત્રિમાસિક અહેવાલ મુજબ, તેનો લોન પોર્ટફોલિયો સાત ક્વાર્ટરમાં પ્રથમ વખત વધ્યો છે, અને સંપત્તિ ગુણવત્તા માર્ચ ૨૦૨૪ પહેલાના સ્તરે પાછી આવી છે.
FY26 ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ઉદ્યોગનો ગ્રોસ લોન પોર્ટફોલિયો પાછલા ક્વાર્ટરની તુલનામાં ૩ ટકાથી વધુ વધ્યો છે, જેનાથી સાત ક્વાર્ટરના ઘટાડાનો અંત આવ્યો છે.
વધુમાં, ૩૧-૧૮૦ દિવસ માટે પોર્ટફોલિયો એટ રિસ્ક એક વર્ષ પહેલાના ૬.૩ ટકાથી ઝડપથી ઘટીને ૨ ટકા થયો છે, જ્યારે ત્રિમાસિક લોન વિતરણ વધીને ૭૭,૫૨૪ કરોડ થયું છે. આ ક્વાર્ટરમાં લોન વિતરણ છેલ્લા સાત ક્વાર્ટરમાં સૌથી વધુ હતું.
જાણકાર વર્તુળોએ જણાવ્યું હતું કે, આપણે હવે કહી શકીએ છીએ કે બે મુશ્કેલ વર્ષો છતાં, ઉદ્યોગ વધુ સારી સ્થિતિ તરફ આગળ વધી રહ્યો છે. તેમણે પોર્ટફોલિયો વૃદ્ધિ અને લોન ડિલિન્ક્વન્સી સ્તરમાં સતત સુધારાનો ઉલ્લેખ કર્યો હતો. ત્રિમાસિક ગાળા દરમિયાન લોનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે.


