Get The App

પીએસયુ સાહસો BHEL અને SAILના મહારત્ન દરજ્જા સમીક્ષા હેઠળ મૂકાયા

- નફાકારકતાના માપદંડ પૂર્ણ કરવામાં બે કંપનીઓ નિષ્ફળ

- ૧૪ મહારત્ન કંપનીઓ પૈકી ભેલ અને સેઈલ બે કંપનીઓ પાછલા ત્રણ વર્ષમાં રૂ.૫૦૦૦ કરોડથી વધુ વાર્ષિક ચોખ્ખો નફો જાળવવાની જરૂરિયાતને પૂર્ણ કરી શકી નથી

Updated: Jun 7th, 2026

GS TEAM

Google News
Google News
પીએસયુ સાહસો BHEL અને SAILના મહારત્ન દરજ્જા સમીક્ષા હેઠળ મૂકાયા 1 - image

નવી દિલ્હી : મહારત્ન દરજ્જા માટે જરૂરી નફાકારકતાના માપદંડને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેવા બદલ કેન્દ્ર દ્વારા પીએસયુ સાહસો ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (ભેલ) અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (સેઈલ)ને એક વર્ષના સમીક્ષા સમયગાળા હેઠળ મૂકવામાં આવ્યા છે.જો આ સમીક્ષા સમયગાળા દરમિયાન કંપનીઓ નાણાકીય કામગીરીમાં સુધારો નહીં થાય, તો બે જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ)ને નવરત્ન દરજ્જામાં ડાઉનગ્રેડ કરી શકાય છે, જેનાથી તેમના બોર્ડને હાલમાં ઉપલબ્ધ સ્વાયત્તતામાં ઘટાડો થઈ શકે છે.

ભારતના ૧૪ મહારત્ન કંપનીઓમાં ભેલ અને સેઈલ એકમાત્ર બે કંપનીઓ છે, જે પાછલા ત્રણ વર્ષ દરમિયાન રૂ.૫૦૦૦ કરોડથી વધુનો સરેરાશ વાર્ષિક કરવેરા બાદનો નફો (ચોખ્ખો નફો) જાળવવાની જરૂરિયાને પૂર્ણ કરતી નથી. મહારત્ન તરીકે લાયક બનવા માટે, કેન્દ્રિય જાહેર ક્ષેત્રના સાહસ (સીપીએસઈ) પાસે રૂ.૨૫,૦૦૦ કરોડથી વધુનું સરેરાશ વાર્ષિક ટર્નઓવર, પાછલા ત્રણ વર્ષમાં રૂ.૧૫,૦૦૦ કરોડથી વધુ નેટવર્થ અને નોંધપાત્ર આંતરરાષ્ટ્રીય હાજરી હોવી આવશ્યક છે.

જો ડાઉનગ્રેડ કરાશે તો આ કંપનીઓની નફાશક્તિમાં ઘટાડો થઈ શકે છે. મહારત્ન કંપનીઓ સરકારની પૂર્વ મંજૂરી વિના રૂ.૫૦૦૦ કરોડ સુધી ઈક્વિટી રોકાણ કરી શકે છે, જ્યારે નવરત્ન કંપનીઓ માટે મર્યાદા રૂ.૧૦૦૦ કરોડની છે. સીપીએસઈની વ્યાપક સમીક્ષાના ભાગરૂપે કેબિનેટ સચિવ ટીવી સોમનાથનની આગેવાની હેઠળની સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી હતી, એમ અહેવામાં ઉમેરવામાં આવ્યું છે.

પેનલે મહારત્ન માળખાની સમીક્ષા કરી અને  કડક નાણાકીય અને શાસન ધોરણોની ભલામણ કરી, જેમાં નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેતી કંપનીઓ પાસેથી રત્નનો દરજ્જો પાછો ખેંચવાની જોગવાઈઓનો સમાવેશ થાય છે. ભેલ અને સેઈલની દેખરેખ રાખતા મંત્રાલયોને નફાકારકતા અને એકંદર નાણાકીય કામગીરીમાં સુધારો કરવા માટે ટર્નઅરાઉન્ડ યોજનાઓ સબમિટ કરવા કહેવામાં આવ્યું છે.

રિપોર્ટ મુજબ, સમીક્ષાએ મહારત્ન પાત્રતા માળખાની વ્યાપક તપાસને પણ પ્રોત્સાહન આપ્યું છે. નીતિ આયોગના પ્રતિનિધિઓએ સમિતિને જણાવ્યું હતું કે, ટર્નઓવર, નેટવર્થ અને નફાકારકતા મર્યાદા ૨૦૧૦માં નક્કી કરવામાં આવી હતી અને વર્તમાન બજાર પરિસ્થિતિઓને પ્રતિબિંબિત કરવા માટે તેમાં સુધારો કરવામાં આવ્યો નથી.

સમિતિએ જાહેર સાહસોના  વિભાગ (ડીપીઈ)ને ૨૦૨૫ના ભાવો સાથે ઈન્ડેક્સ કરીને પાત્રતા માપદંડોની સમીક્ષા કરવા જણાવ્યું છે, ત્યારબાદ તમામ સીપીએસઈનું સુધારેલા માળખા હેઠળ ફરીથી મૂલ્યાંકન કરી શકાય છે.

સમીક્ષા દરમિયાન, સ્ટીલ મંત્રાલયે સમિતિને જાણ કરી છે કે, છેલ્લા ચાર વર્ષમાં સેઈલનું સરેરાશ વાર્ષિક ટર્નઓવર રૂ.એક ટ્રિલિયનને વટાવી ગયું છે, જ્યારે તેની સરેરાશ નેટવર્થ રૂ.૫૩,૯૭૬ કરોડ હતી. જો કે, કંપનીએ છેલ્લે ૨૦૨૨-૨૩માં ત્રણ વર્ષની સરેરાશ ચોખ્ખા નફાની થ્રેસોલ્ડ પૂર્ણ કરી હતી.

ભેલના કિસ્સામાં, નીતિ આયોગે માનવ સંશાધન નીતિઓને વૃદ્વિમાં મુખ્ય અવરોધ તરીકે ચિહ્નિત કરી છે અને તેની વ્યાપક સમીક્ષા કરવાની હાકલ કરી છે. ભારે ઉદ્યોગ મંત્રાલયે પેનલને જણાવ્યું હતું કે, કંપનીની  નાણાકીય કામગીરીને સુધારવા માટે એક યોજના પહેલેથી જ બનાવવામાં આવી છે.

મહારત્ન અને નવરત્ન એ ભારત સરકાર દ્વારા ઉચ્ચ પ્રદર્શન-કામગીરી કરતી સીપીએસઈઝને આપવામાં આવતી કેટેગરી છે, જે તેમને નાણાકીય અને કાર્યકારી સ્વાયત્તતાની વિવિધ ડિગ્રી આપે છે. મહારત્ન એ સીપીએસઈઝની સર્વોચ્ચ શ્રેણી છે અને રોકાણના નિર્ણયો, સંયુક્ત સાહસો, સંપાદન અને વિદેશી વિસ્તરણમાં વધુ સ્વતંત્રતા પ્રદાન કરે છે.

ભારતની ૧૪ મહારત્ન કંપનીઓની યાદી

ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (ભેલ), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ), કોલ ઈન્ડિયા લિમિટેડ (સીઆઈએલ), ગેઈલ ઈન્ડિયા લિમિટેડ, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ), હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ), ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (આઈઓસીએલ), એનટીપીસી લિમિટેડ, ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી), ઓઈલ ઈન્ડિયા લિમિટેડ (ઓઆઈએલ), પાવર ફાઈનાન્સ કોર્પોરેશન (પીએફસી), આરઈસી લિમિટેડ, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (પીજીસીઆઈએલ) અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (સેઈલ) છે.