Business

LICને મોટો ફટકો : રૂ. 46,000 કરોડ શેરબજારમાં ડૂબી ગયા

By GS TEAM
29 Jul 20251 min read
LICને મોટો ફટકો : રૂ. 46,000 કરોડ શેરબજારમાં ડૂબી ગયા

અમદાવાદ : ભારતની સૌથી મોટી વીમા કંપની અને સ્થાનિક રોકાણકાર લાઈફ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન (એલઆઈસી) ને શેરબજારની પીછેહઠના કારણે જુલાઈ ૨૦૨૫માં મોટું નુકસાન થયું છે.

બજારમાં સતત ઘટાડાને કારણે, તેના રોકાણનું મૂલ્ય રૂ. ૪૬,૦૦૦ કરોડ ઘટયું છે. ૩૦ જૂન, ૨૦૨૫ ના રોજ, કુલ ૩૨૨ કંપનીઓમાં એલઆઈસીના હિસ્સાનું મૂલ્ય રૂ.૧૬.૧૦ લાખ કરોડ હતું, જે ૨૫ જુલાઈ સુધીમાં ઘટીને રૂ. ૧૫.૬૪ લાખ કરોડ થઈ ગયું હતું. જોકે, સારી વાત એ છે કે એલઆઈસીનું મૂલ્ય એપ્રિલ ૨૦૨૫માં શેરબજાર ૫૨ અઠવાડિયાના નીચલા સ્તરને સ્પર્શ્યું હતું તેના કરતાં રૂા. ૧.૯૪ લાખ કરોડ વધુ છે.

એલઆઈસીને સૌથી વધુ નુકસાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી થયું છે. જુલાઈમાં આ કંપનીના શેરમાં ૭.૨% ના ઘટાડાથી એલઆઈસીના રોકાણમાં રૂ.૧૦,૧૮૦ કરોડનો ઘટાડો થયો હતો. આ ઉપરાંત, ચાર આઈટી કંપનીઓ  ટીસીએસ, ઈન્ફોસીસ, એચસીએલ ટેકનો અને ટેક મહિન્દ્રામાં સંયુક્ત  નુકસાન રૂ. ૧૫,૩૨૧ કરોડનું હતું. આ ઉપરામત,  લાર્સન, ભારતી એરટેલઅને આઈટીસી જેવા મોટા શેરોએ પણ એલઆઈસીના હિસ્સાના મૂલ્યમાં ઘટાડામાં મોટી ભૂમિકા ભજવી હતી.

કેટલીક કંપનીઓએ પોર્ટફોલિયોને થોડી રાહત આપી હતી જેમાં, હિન્દુસ્તાન યુનિલિવરમાં રૂા. ૧,૮૨૧ કરોડ, આઈસીઆઈસીઆઈ બેંકમાં રૂા. ૧,૫૦૭ કરોડ, સ્ટેટ બેકમાં રૂા. ૧,૧૩૩ કરોડ તેમજ  મહિન્દ્રા અને મહિન્દ્રા, અંબુજા સિમેન્ટ્સ, પતંજલિ ફૂડ્સ, આઈટીસી  હોટેલ્સ, યુપીએલ વગેરેએ કુલ રૂા. ૭૬૦ કરોડનો નફો કર્યો હતો.