વર્ષના પ્રથમ છ માસમાં લાર્જકેપ શેરોમાં આગેકૂચ જ્યારે મિડ-સ્મોલકેપમાં પીછેહઠ
- નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન મિડ અને સ્મોલકેપ ઇન્ડેક્સના ૫૦૧ શેરોનું બજાર મૂલ્ય ૧૮ ટકાથી વધુ વધ્યું
અમદાવાદ : ૨૦૨૫ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં સ્મોલ અને મિડકેપ સૂચકાંકોએ તેમના અગ્રણી સમકક્ષો કરતાં નબળું પ્રદર્શન કર્યું છે. સુચિત સમય દરમિયાન બીએસઈ સ્મોલકેપમાં ૧.૭ ટકા અને બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૨ ટકાનો ઘટાડો થયો છે. તેની તુલનામાં, આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં ૮-૮ ટકાનો વધારો થયો છે.
વિશ્લેષકો કહે છે કે ડિસેમ્બર ૨૦૨૪ના ત્રિમાસિક ગાળામાં યુએસ ટેરિફ ડર, ભૂ-રાજકીય ચિંતાઓ અને નબળી કોર્પોરેટ કમાણીને કારણે પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં સ્મોલ અને મિડકેપ્સનું પ્રદર્શન નબળું રહ્યું હતું. આના કારણે રોકાણકારો લાર્જકેપ્સ તરફ વળ્યા હતા, જેને સલામત માનવામાં આવે છે. અસ્થિર બજારોમાં પણ મોટાભાગે લાર્જકેપ્સને સલામત શેર માનવામાં આવે છે. બજારના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે માર્ચ ક્વાર્ટરના કમાણી અને ત્યારબાદની ટિપ્પણીઓએ થોડો વિશ્વાસ જગાડયો છે અને રોકાણકારો આગામી કેટલાક મહિનાઓ માટે સ્મોલ અને મિડકેપ્સ શેરો પર નજર રાખશે.
નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ ક્વાર્ટરમાં, બીએસઈ મિડકેપ, બીએસઈ સ્મોલકેપ, નિફ્ટી મિડકેપ ૧૦૦ અને સ્મોલકેપ ૧૦૦ સૂચકાંકોએ ૧૨થી ૧૮ ટકાની રેન્જમાં પ્રભાવશાળી બે-અંકના વળતર સાથે બજાર કરતાં વધુ સારો દેખાવ કર્યો હતો. તેની તુલનામાં, સેન્સેક્સ અને નિફ્ટી ૫૦ સૂચકાંક અનુક્રમે ૮.૬ અને ૯ ટકા વધ્યા હતા.
માર્ચ ૨૦૨૫ ક્વાર્ટરની કમાણીની સીઝન અને ટિપ્પણીઓ મોટાભાગના મિડ-એન્ડ સ્મોલકેપ્સ માટે સારી હતી. આનું કારણ એ છે કે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ આ સેગમેન્ટના શેરોમાં રોકાણ કર્યું હતું. જો કે, હવે શેરોની પસંદગી પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન મિડ અને સ્મોલકેપ ઇન્ડેક્સના ૫૦૧ શેરોના બજાર મૂલ્યમાં ૧૮ ટકાથી વધુનો વધારો થયો છે. તેમાંથી ૭૫ શેરોમાં ૫૦ ટકાથી વધુનો વધારો થયો છે. બજાર વિશ્લેષકો માને છે કે સ્મોલકેપ લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી મજબૂત છે, ભારત એક સ્મોલકેપ બજાર છે. ભારતમાં નાના સ્તરે મજબૂત કંપનીઓ ધરાવે છે.
છેલ્લા સાત કેલેન્ડર વર્ષમાં સ્મોલકેપ સેગમેન્ટમાં મજબૂત વૃદ્ધિ
દરમિયાન, એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, છેલ્લા સાત કેલેન્ડર વર્ષોમાં સ્મોલકેપ સેગમેન્ટમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે. આ સમયગાળા દરમિયાન, આ બાસ્કેટનું બજાર મૂડીકરણ પાંચ ગણું વધ્યું છે. તે ૨૦૧૭માં રૂ. ૧૭ લાખ કરોડથી વધીને ૨૦૨૪ ના અંત સુધીમાં રૂ. ૯૨ લાખ કરોડ થયું છે, જે આ સમયગાળા દરમિયાન ૨૭.૬ ટકાનો મજબૂત વાષક ચક્રવૃદ્ધિ દર દર્શાવે છે. તેની સરખામણીમાં, લાર્જકેપ અને મિડકેપ સેગમેન્ટમાં સમાન સમયગાળા દરમિયાન ૧૪.૫ ટકા અને ૨૧.૬ ટકાનો વાષક ચક્રવૃદ્ધિ દર નોંધાયો હતો.