ઈરાન-ઈઝરાયેલ યુદ્વ સંગ્રામ : નિકાસકારોનો લોજિસ્ટિક ખર્ચ 20 ટકા વધી જવાનું જોખમ
- પાકિસ્તાન એર રૂટ પહેલાથી જ બંધ છે : હવે ઈરાન એર સ્પેસ બંધ થતાં અને ક્રુડના ભાવ વધતાં નિકાસ ખર્ચ વધવાની શકયતા
નવી દિલ્હી : ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્વના ટેન્શનને લઈ મિડલ-ઈસ્ટમાં પરિસ્થિતિ વણસવાની સ્થિતિમાં ભારતની નિકાસોને મોટી અસર પડવાની શકયતા બતાવવામાં આવી રહી છે. નિકાસો મોંઘી બની જવાની અને નિકાસકારોનો લોજિસ્ટિક ખર્ચ ૧૫થી ૨૦ ટકા જેટલો વધી જવાનું જોખમ હોવાની નિષ્ણાતો શકયતા બતાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનનો હવાઈ માર્ગ પહેલાથી જ ભારતીય વિમાનો માટે બંધ છે અને હવે ઈરાનની એરસ્પેસ પણ બંધ થતાં એક કાર્ગો ખર્ચમાં વધુ વધારો થશે. ફયુલના ઊંચા ખર્ચથી દરિયાઈ માર્ગે વહન ખર્ચ વધશે અને ક્રુડ ઓઈલના ભાવમાં વધારાની પણ નિકાસ વહન ખર્ચમાં વધારાની અસર પડશે.
આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. શકય છે કે આ સ્થિતિ હંગામી બની રહે અને નિકાસ પર ટૂંકાગાળા માટે અસર જોવાય, પરંતુ આ વિશે અત્યારે કહેવું વહેલું ગણાશે.
નાણા વર્ષ ૨૦૨૫માં ભારતની ગુડ્ઝની ઈઝરાયેલને નિકાસો ૨.૧ અબજ ડોલરની અને આયાત ૧.૬ અબજ ડોલરની થઈ હતી. જ્યારે ઈરાનને શિપમેન્ટ્સ ૧.૨ અબજ ડોલરનું અને આયાત ૪૪.૧૯ કરોડ ડોલરની થઈ હતી. જ્યારે રફ હીરાની ઈઝરાયેલથી ભારતમાં સપ્લાય પર પણ અસર થઈ શકે છે.
શિપિંગ લાઈન્સ રાતા સમુદ્ર અને સુએઝ કેનાલ માર્ગે ખોરવાની શકયતા છે. અગાઉ વેપાર રાતા સમુદ્ર માર્ગે ફરી શરૂ થયો હતો. પરંતુ હવે વોયેજીસ અનિયમીત બનતા અનિશ્ચિતતામાં મોટો વધારો થયો છે. અન્ની નિકાસો પર થોડી અસર જોવાઈ શકે છે, પરંતુ ખાસ મોટી ચિંતા નથી કેમ કે ફૂડ સંબંધિત વિક્ષેપો વહેલી તકે ઉકેલવામાં આવતા હોય છે.