Get The App

શેરબજારમાં રોકાણકારો જૂનમાં ફરી સક્રિય

- જૂનમાં રોકાણકારોએ ઇક્વિટીમાં રૂા. ૫૬૦૦ કરોડથી વધુનું રોકાણ કર્યું

- વર્તમાન મહિનામાં દૈનિક સરેરાશ વેપાર વોલ્યુમમાં નોંધપાત્ર વધારો

Updated: Jun 26th, 2025

GS TEAM

Google News
Google News
શેરબજારમાં રોકાણકારો જૂનમાં ફરી સક્રિય 1 - image


મુંબઈ : સતત ત્રણ મહિના સુધી શેરબજારમાં ખરીદીથી લગભગ દૂર રહ્યા બાદ રિટેલ રોકાણકારો વર્તમાન જૂન મહિનામાં ફરી સક્રીય બન્યાનું જોવા મળી રહ્યું છે. પ્રાપ્ત ડેટા પ્રમાણે વર્તમાન મહિનામાં રિટેલ રોકાણકારોએ ભારતીય ઈક્વિટીસ કેશમાં અત્યારસુધી રૂપિયા ૫૬૦૦ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. બીજી બાજુ વેપાર વોલ્યુમમાં વધારો થયો છે, પરંતુ સરેરાશ દૈનિક ટર્નઓવર ખાસ વધ્યુ નહીં હોવાનું  પણ જોવા મળી રહ્યું છે. 

આ અગાઉના ત્રણ મહિનામાં રિટેલ રોકાણકારોએ રૂપિયા ૨૦,૦૦૦ કરોડનું રોકાણ પાછુ ખેંચી લીધું હતું. વૈશ્વિક અનિશ્ચિતતા તથા ટ્રમ્પના ટેરિફ વોરને કારણે ભારત સહિત વિશ્વભરના શેરબજારોમાં મંદી ફેલાઈ ગઈ હતી.

જો કે ટેરિફ મુદ્દે ટ્રમ્પના કુણા વલણ તથા વૈશ્વિક તંગદિલીમાં થઈ રહેલા ઘટાડાને કારણે જૂનમાં ભારત સહિતના શેરબજારો ફરી ઊંચકાતા રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારો દ્વારા ફરી ખરીદી શરૂ થયાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું. 

રિટેલ રોકાણકારો ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા પણ ભારતીય ઈક્વિટીસમાં ખરીદી નીકળી હોવાનું પણ જોવા મળી રહ્યું છે. 

ટેરિફ વોરની બજાર પર અસરને કારણે વર્તમાન વર્ષના માર્ચમાં રિટેલ રોકાણકારોએ ઈક્વિટીસમાંથી રૂપિયા ૧૪૩૨૫ કરોડ ઘરભેગા કર્યા હતા, જે ૨૦૧૬ બાદ કોઈ એક મહિનામાં તેમનો સૌથી મોટો આઉટફલોસ રહ્યો હતો.

ઊંચા ટેકસની ચૂકવણીમાંથી બચવા રિટેલ રોકાણકારોએ માર્ચમાં  નુકસાની કરી માલ વેચવાની નીતિ અપનાવી હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. ત્યારબાદ ટેરિફ વોરને કારણે એપ્રિલ તથા મેમાં ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી. 

દરમિયાન વર્તમાન મહિનામાં ઈક્વિટીસના વેપાર વોલ્યુમમાં વધારો થયો છે, પરંતુ મૂલ્યની દ્રષ્ટિએ કામકાજમાં ખાસ વૃદ્ધિ થઈ નથી. વર્તમાન જૂનમાં બીએસઈ તથા એનએસઈ પર સરેરાશ દૈનિક કેશ વોલ્યુમ્સ વધી ૫.૭૫ અબજ શેર્સ સાથે ૧૧ મહિનાની ટોચે રહ્યું છે.

મેની સરખામણીએ વોલ્યુમમાં ૨૦ ટકા વધારો થયો છે. જો કે સરેરાશ દૈનિક ટર્નઓવરમાં માત્ર એક ટકો વધારો થઈને રૂપિયા ૧.૨૦ લાખ કરોડ રહ્યું છે. મેમાં આ વધારો ૧૧ ટકા રહ્યો હતો. 

ઈક્વિટીસમાં વોલેટિલિટી વચ્ચે દૈનિક વેપાર પ્રવૃત્તિમાં વધારો થવાને કારણે વોલ્યુમ ઊંચુ રહ્યું છે પરંતુ ટર્નઓવરમાં તે પ્રમાણે વધારો નહીં થયાનું સુત્રોએ જણાવ્યું હતું.

ભાવમાં પાંખી વધઘટ સાથે જ રોકાણકારો વેપાર સરભર કરી નાખવાનું હાલમાં મુનાસિબ માની રહ્યા છે. બજારમાં વોલેટિલિટી વચ્ચે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ) દ્વારા ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં રૂપિયા ૩.૫૦ ટ્રિલિયનનું રોકાણ થયાનું સેબીના ડેટા જણાવે છે. 

Tags :