દેશની જાણીતી બૅન્કના શેર્સમાં કડાકાની શક્યતા, રૂ. 1960 કરોડના ફ્રોડ કેસમાં ફરી તપાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IndusInd Bank Stock News : ઇન્ડસઇન્ડ બૅંકનું સંકટ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું. આ વર્ષે મે મહિનામાં સામે આવેલા ₹1959.98 કરોડના છેતરપિંડીના કેસમાં હવે બૅંકની ફરીથી તપાસ શરુ થઈ છે. ગંભીર છેતરપિંડી તપાસ કાર્યાલય (SFIO) દ્વારા આ તપાસ શરુ કરવામાં આવી છે, જેના કારણે રોકાણકારોમાં ફરી ચિંતાનો માહોલ છે. આ સમાચાર બાદ શેર પર તેની શું અસર થશે તેના પર સૌની નજર છે, કારણ કે જ્યારે આ કૌભાંડ પહેલીવાર સામે આવ્યું હતું ત્યારે બૅંકના શેરમાં ભારે કડાકો બોલી ગયો હતો.
શું છે સમગ્ર મામલો અને SFIOની તપાસનો દાયરો?
બૅંકે બુધવારે રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ તપાસની જાણકારી આપી હતી. આ તપાસ એ જ મુદ્દાઓ સાથે સંબંધિત છે જે બૅંકે અગાઉ જાહેર કર્યા હતા. તેમાં ઇન્ટરનલ ડેરિવેટિવ્ઝ ટ્રેડનું એકાઉન્ટિંગ, અન્ય અસ્કયામતો અને જવાબદારીઓ હેઠળ દર્શાવવામાં આવેલ અસ્પષ્ટ બેલેન્સ, અને બૅંકના માઇક્રોફાઇનાન્સ બિઝનેસમાંથી મળતી વ્યાજ અને ફીની આવકમાં રહેલી ખામીઓનો સમાવેશ થાય છે.
કયા કાયદા હેઠળ તપાસ
આ તપાસ કંપની ઍક્ટ, 2013ની કલમ 212 હેઠળ કરવામાં આવી રહી છે, જે કેન્દ્ર સરકારને કોર્પોરેટ છેતરપિંડીના ગંભીર અને જટિલ કેસો SFIOને સોંપવાની સત્તા આપે છે. બૅંકે જણાવ્યું કે તેને 23 ડિસેમ્બર, 2025ના રોજ SFIO તરફથી એક પત્ર મળ્યો હતો, જેમાં તપાસ સંબંધિત માહિતી અને દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા.
આ વર્ષની શરુઆતમાં થયો હતો ખુલાસો
SFIOની આ તપાસ આ વર્ષે 2025ની શરુઆતમાં સામે આવેલી ગંભીર એકાઉન્ટિંગ સંબંધિત ચિંતાઓને પગલે શરુ થઈ છે. એપ્રિલ મહિનામાં, બૅંકના બાહ્ય ઓડિટરે ડેરિવેટિવ પોર્ટફોલિયોમાં અનિયમિતતાઓને કારણે 31 માર્ચ, 2025 સુધીના પ્રોફિટ ઍન્ડ લોસ ખાતા પર ₹1959.98 કરોડની ગેરરીતિનો પર્દાફાશ કર્યો હતો. આ ઉપરાંત, અન્ય એક બાહ્ય એજન્સીના રિપોર્ટમાં ડેરિવેટિવ્ઝના વ્યવહારોમાં થયેલી ભૂલોને કારણે બૅંકની સંપત્તિ પર ₹1979 કરોડની નકારાત્મક અસરનો અંદાજ લગાવવામાં આવ્યો હતો.
શેર પર શું થશે અસર? ભૂતકાળમાં થયો હતો 60%નો કડાકો
જ્યારે ઇન્ડસઇન્ડ બૅંકમાં છેતરપિંડીનો આ મામલો પહેલીવાર સામે આવ્યો હતો, ત્યારે તેના શેરમાં સુનામી જેવી સ્થિતિ સર્જાઈ હતી અને રોકાણકારોના અબજો રૂપિયા ડૂબી ગયા હતા. ફેબ્રુઆરીમાં આ શેર ₹1086ની 52-સપ્તાહની ઊંચી સપાટીએ હતો, પરંતુ કૌભાંડના સમાચાર આવતા જ તે 60% જેટલો તૂટીને ₹606ના સ્તરે આવી ગયો હતો. હવે ફરીથી શરુ થયેલી આ તપાસની અસર બૅંકના શેર પર જોવા મળી શકે છે. બુધવારે, શેરબજારમાં સામાન્ય કારોબાર વચ્ચે ઇન્ડસઇન્ડ બૅંકનો શેર ₹848.90 પર બંધ થયો હતો. ઉલ્લેખનીય છે કે આજે ગુરુવારે નાતાલ નિમિત્તે શેરબજાર બંધ છે અને હવે શુક્રવારે કારોબાર ફરી શરુ થશે.








