મુંબઈ : ઈન્વેસ્ટમેન્ટ સાધનની પસંદગીમાં પાયાભૂત ફેરબદલથી ભારતના બચતકારોના વધુને વધુ નાણાં ઈક્વિટીસ તરફ વળી રહ્યાનું જોવા મળી રહ્યું છે. દેશના પરિવારો અને વ્યક્તિઓનું ઈક્વિટીસમાં રોકાણ વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યું હોવાનું સંસદમાં રજૂ થયેલા આર્થિક સર્વેમાં જણાવાયું હતું.
ઈક્વિટી હોલ્ડિંગમાં વ્યક્તિગત રોકાણકારોનો હિસ્સો જે નાણાં વર્ષ ૨૦૧૪માં ૧૧ ટકા હતો તે ૨૦૨૫ના સપ્ટેમ્બરમાં વધી ૧૮.૮૦ ટકા પર પહોંચી ગયો હતો. મૂલ્યની દ્રષ્ટિએ વ્યક્તિગત રોકાણકારોના હોલ્ડિંગનો આંક જે નાણાં વર્ષ ૨૦૧૪માં રૂપિયા ૮ ટ્રિલિયન રહ્યો હતો તે ૨૦૨૫ના સપ્ટેમ્બર સુધીમાં વધી રૂપિયા ૮૪ ટ્રિલિયન પર પહોંચી ગયો છે.
વ્યક્તિગત રોકાણકારો દ્વારા ભારતીય ઈક્વિટીસમાં સીધા સહભાગ કરતા આડકતરા સહભાગમાં વધારો થતા તેમના હોલ્ડિંગમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. સપ્ટેમ્બર ૨૦૨૫ના અંતે સીધા ઈક્વિટી હોલ્ડિંગની માત્રા ૯.૬૦ ટકા હતી જ્યારે મ્યુચ્યુઅલ ફન્ડસ મારફત આડકતરા હોલ્ડિંગની માત્રા ૯.૨૦ ટકા જોવા મળી હતી.
અનન્ય રોકાણકારોની સંખ્યા જે નાણાં વર્ષ ૨૦૨૦માં ૩.૧૦ કરોડ હતી તે નાણાં વર્ષ ૨૦૨૫ના અંતે વધી ૧૧ કરોડ પર પહોંચી ગઈ છે અને નવા ઉમેરાની ગતિ તાજેતરના દિવસોમાં મંદ પડી છે છતાં, ઘરઆંગણે ઈક્વિટીસમાં ઈન્ફલોસ સ્થિતિસ્થાપક જળવાઈ રહ્યો હોવાનું સર્વેમાં નોંધવામાં આવ્યું છે. એપ્રિલ, ૨૦૨૦થી સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન પારિવારિક ઈક્વિટી સંપતિમાં રૂપિયા ૫૩ ટ્રિલિયનનો ઉમેરો થયો છે.


