દેશની ટેકસટાઈલ નિકાસમાં આઠ ટકા ઘટાડો
- અમેરિકા-ચીન વેપાર યુદ્ધ, મધ્ય પૂર્વમાં તંગદિલી તાૃથા બ્રેકઝિટ જેવા પરિબળ કારણભૂત
મુંબઈ, તા. 22 જાન્યુઆરી 2020, બુધવાર
અમેરિકા ખાતે નિકાસમાં સુધારો છતાં, દેશની ટેકસટાઈલ અને એપરલની નિકાસમાં વર્તમાન નાણાં વર્ષના પ્રથમ આઠ મહિના એટલે કે એપ્રિલથી નવેમેબરના ગાળામાં ૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. યુરોપ તથા વેસ્ટ એશિયામાં ઘટાડાને કારણે એકંદર નિકાસ ઘટી હોવાનું પ્રાપ્ત માહિતિમાં જણાયું છે. બીજી બાજુ આજ ગાળામાં ટેકસટાઈલ તથા એપરલની આયાતમાં ૧૫ ટકા જેટલો વધારો નોંધાયો છે.
વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડાયરેકટોરેટ જનરલ ઓફ કમર્સિઅલ ઈન્ટેલિજંસ એન્ડ સ્ટેટેસ્ટિકસ દ્વારા એકત્રિત કરાયેલા આંકડા પ્રમાણે, ભારતની ટેકસટાઈલ અને એપરલની નિકાસ પાછલા નાણાં વર્ષના પ્રથમ આઠ મહિનાની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના આ ગાળામાં ૨૩.૬૦ અબજ ડોલર પરથી ૮ ટકા ઘટી ૨૧.૭૦ અબજ ડોલર રહી હતી.
જ્યારે આયાત ૪.૬૦ અબજ ડોલર પરથી વધી ૫.૫૦ અબજ ડોલર રહી હતી. અમેરિકા-ચીન વેપાર યુદ્ધ, મધ્ય પૂર્વમાં ભૌગોલિક તંગદિલી, બ્રેકઝિટ મુદ્દો તથા જનરલાઈઝડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સિસ હેઠળના લાભો નાબુદ કરાવાને કારણે ભારતની ટેકસટાઈલની નિકાસ પર અસર પડી છે, એમ કોટન ટેકસટાઈલ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલના એક હોદ્દેદારે જણાવ્યું હતું.
જીએસપી હેઠળ વિકસિત દેશો કેટલાક રાષ્ટ્રો ખાતેથી એપરલ અને ટેકસટાઈલની ખરીદીને પ્રાધાન્ય આપવા ઉપરાંત આયાત ડયૂટીમાં રાહત આપે છે. વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી નવેમ્બરના ગાળામાં અમેરિકા ખાતે ભારતની એપરલની નિકાસ ૬ ટકા વધીને ૨.૭૦ અબજ ડોલર રહી હતી.
નિકાસ પ્રોડકટસ પર ડયૂટીસ અથવા ટેકસિસના રેમિશનનેની સ્કીમ જાહેર કરવામાં થઈ રહેલી ઢીલને જોતા એપરલ નિકાસમાં હજુ ૨થી ૪ ટકાનો ઘટાડો જોવા મળવાની સંભાવના છે એમ કલોથિંગ મેન્યુફેકચરર્સ એસો. ઓફ ઈન્ડિયાના એક હોદ્દેદારે જણાવ્યું હતું.