Business

વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની ભૂમિકા મજબૂત થતી જોવા મળશે

By GS TEAM
4 Feb 20262 mins read
વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની ભૂમિકા મજબૂત થતી જોવા મળશે

અમદાવાદ : મહિનાઓની અનિશ્ચિતતા, ઊંચા ટેરિફ અને વૈશ્વિક તણાવ પછી, ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સોદાએ બજારની દિશા બદલી નાખી છે. નોંધપાત્ર ટેરિફ ઘટાડા અને સુધારેલા બજાર પ્રવેશથી માત્ર વ્યવસાયોને રાહત મળી નથી પરંતુ ૨૦૨૬ માટે ભારતીય આર્થિક વૃદ્ધિ માટે અપેક્ષાઓ પણ વધી છે. નિષ્ણાતો માને છે કે આ કરાર ભારતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં એક મજબૂત ખેલાડી બનાવી શકે છે.

આર્થિક નિષ્ણાંતોએ આ ટ્રેડ ડીલને નિર્ણાયક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ભારત-અમેરિકા કરાર વિશ્વની સૌથી મહત્વપૂર્ણ આથક ભાગીદારીઓમાંની એકને નવી તાકાત આપે છે અને રોકાણકારોનો વિશ્વાસ મજબૂત કરશે. આ કરારથી બજાર અક્સેસ હળવી થઈ છે અને નીતિગત મૂંઝવણ દૂર થઈ છે.

જ્યારે નિયમો સ્પષ્ટ હોય છે, ત્યારે મૂડી રોકાણ ઝડપથી વધે છે, અને આ સોદાની સૌથી મોટી તાકાત છે. તેમણે ઉમેર્યું હતું કે મજબૂત દ્વિપક્ષીય વેપાર ભારત અને અમેરિકા વચ્ચે મૂડી પ્રવાહને વેગ આપશે. આનાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભાગીદારી વધશે અને વૈશ્વિક પુરવઠા શૃંખલામાં ભારતીય કંપનીઓની ભૂમિકા વધુ ગાઢ બનશે.

ટેરિફમાં આશરે ૫૦ ટકાથી આશરે ૧૮ ટકાનો ઘટાડો બજારની અપેક્ષાઓ કરતાં વધુ છે. આ ઘટાડો રોકાણકારો માટે સારા સમાચાર છે. બજાર નિષ્ણાતો માને છે કે મજબૂત વેપાર અને મૂડી પ્રવાહ મધ્યમ ગાળામાં રૂપિયાને ટેકો આપશે અને શેરબજાર માટે, ખાસ કરીને નિકાસ અને ઉત્પાદન સંબંધિત ક્ષેત્રો માટે સકારાત્મક વાતાવરણ પણ બનાવશે.

તાજેતરના ભારત-યુરોપિયન યુનિયન વેપાર કરાર સાથે જોડાયેલો આ સોદો ૨૦૨૬માં ભારતીય અર્થતંત્ર માટે સૌથી મજબૂત બાહ્ય વૃદ્ધિ સપોર્ટ પૈકીનો એક સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના મતે, અમેરિકા અને યુરોપ બંને સાથે વેપાર સંબંધો મજબૂત કરવાથી સ્પષ્ટપણે સંકેત મળે છે કે ભારત હવે વૈશ્વિક અર્થતંત્રમાં વધુ વિશ્વાસ અને મજબૂતાઈ સાથે આગળ વધી રહ્યું છે.