- એનએસઓએ વ્યક્ત કરેલો અંદાજ
- એનએસઓનો 6.4 ટકા વૃદ્ધિનો અંદાજ આરબીઆઇના 6.6 ટકા અને કેન્દ્રીય નાણા મંત્રાલયના 6.5 ટકાના અંદાજથી ઓછો
નવી દિલ્હી : મેન્યુફેકચરિંગ અને સર્વિસ સેક્ટરના ખરાબ દેખાવને કારણે દેશનો આર્થિક વૃદ્ધિ દર ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ઘટીને ચાર વર્ષના નિમ્ન સ્તર ૬.૪ ટકાએ આવી શકે છે. મંગળવારે જારી સરકારી આંકડાઓમાં આ અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
૬.૪ ટકા જીડીપી નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧થી સૌથી ઓછું છે. ઉલ્લેખનીય છે કે કોવિડ વર્ષ ૨૦૨૦-૨૧માં જીડીપી માઇનસ ૫.૮ ટકા રહ્યો હતો. જીડીપી ૨૦૨૧-૨૨માં ૯.૭ ટકા, ૨૦૨૨-૨૩માં ૭ ટકા અને ૨૦૨૩-૨૪માં ૮.૨ ટકા રહ્યો હતો.
એનએસઓના નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે ૬.૪ ટકા વૃદ્ધિનો અંદાજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અંદાજથી ઓછો છે. આરબીઆઇએ ડિસેમ્બર, ૨૦૨૪માં જારી પોતાના અંદાજમાં જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ૬.૬ ટકા રહેશે.
આ ઉપરાંત એનએસઓનો આ અંદાજ નાણા મંત્રાલયના અંદાજથી પણ ઓછો છે. નાણા મંત્રાલયે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ૬.૫ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. આ એડવાન્સ અંદાજનો ઉપયોગ લોકસભામાં એક ફેબુ્રઆરીએ નાણા પ્રધાન નિર્મલા સિતારમન દ્વારા રજૂ કરવામાં આવનારા બજેટને તૈયાર કરવામાં થાય છે. એનએસઓના અંદાજ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં મેન્યુફેકચરિંગ ક્ષેત્રનો વૃદ્ધિ દર ૫.૩ ટકા રહેશે. જે ગત નાણાકીય વર્ષમાં ૯.૯ ટકા હતો. ૨૦૨૪-૨૫માં સર્વિસ સેક્ટરનો વૃદ્ધિ દર ૫.૮ ટકા રહેવાનો અંદાજ છે. જે ગત નાણાકીય વર્ષમાં ૬.૪ ટકા હતો.
ઉલ્લેખનીય છે કે સર્વિસ સેક્ટરમાં વેપાર, હોટેલ, ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશનનો સમાવેશ થાય છે.૨૦૨૪-૨૫માં કૃષિ સેક્ટરનો વૃદ્ધિ દર ૩.૮ ટકા રહેવાનો અંદાજ છે. જે ગત નાણાકીય વર્ષમાં ૧.૪ ટકા હતો. એનએસઓના અંદાજ મુજબ ૨૦૨૪૨-૫માં ભારતીય અર્થતંત્રનું કદ ૩.૮ ટ્રિલિયન ડોલર રહેવાનો અંદાજ છે.


