ખાદ્ય ચીજોના ભાવોમાં ઘટાડો નોંધાતા રિટેલ મોંઘવારી મેમાં ઘટી છ વર્ષના તળિયે
Retail Inflation In May: ભારતમાં મોંઘવારીનો દર સતત ઘટી રહ્યો છે. એપ્રિલમાં મોંઘવારીમાં રાહત મળ્યા બાદ મેમાં પણ રિટેલ મોંઘવારી ઘટી છ વર્ષના તળિયે પહોંચી છે. મે મહિનામાં રિટેલ મોંઘવારી 2.82 ટકા નોંધાઈ હતી. જે ગતવર્ષે મેમાં 4.8 ટકા હતી.
કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર જારી આંકડાઓ અનુસાર, રિટેલ મોંઘવારીનો દર 2019 બાદ છેક હવે 3 ટકાથી પણ નીચે નોંધાયો છે. જે એપ્રિલ, 2019માં 3.16 ટકા હતો. હાલ મે, 2025માં રિટેલ મોંઘવારીનો દર 2.82 ટકા નોંધાયો છે. ખાદ્ય ચીજોનો ફુગાવો ઘટી 0.99 ટકા થયો છે, જે ઓક્ટોબર, 2021 બાદના સૌથી નીચલા સ્તરે છે. ખાદ્ય ચીજોનો ફુગાવો સાત મહિનાથી સતત ઘટી રહ્યો છે. જેની પાછળનું મુખ્ય કારણ કૃષિ ઉત્પાદનમાં વધારો છે.
મેમાં અનાજ-શાકભાજીના ભાવ ઘટ્યા
મે મહિનામાં રિટેલ મોંઘવારીમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડો છે. કઠોળ, અનાજ, શાકભાજી, ફળો, ઘરેલુ ચીજો, સેવાઓ, ખાંડના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. વધુમાં ઈંધણના ભાવો પણ ઘટ્યા છે. વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવમાં ઘટાડાની અસર ભારતમાં જોવા મળી હતી. ઈંધણ સસ્તુ થયું હતું.
આરબીઆઈએ મોંઘવારીનો લક્ષ્યાંક ઘટાડ્યો
આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે મોનેટરી પોલિસી બેઠકમાં મોંઘવારી પરનો પૂર્વાનુમાન 4 ટકાથી ઘટાડી 3.7 ટકા કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તમામ પરિબળોને ધ્યાનમાં લેતાં તેમજ ચોમાસુ સામાન્ય રહેતાં નાણાકીય વર્ષ 2025-26 માટે રિટેલ ફુગાવો 3.7 ટકા રહેવાનો અંદાજ છે. મોંઘવારી પ્રથમ ત્રિમાસિકમાં 2.9 ટકા, બીજા ત્રિમાસિકમાં 3.4 ટકા, ત્રીજા ત્રિમાસિકમાં 3.9 ટકા અને ચોથા ત્રિમાસિકમાં 4.4 ટકા રહેવાનો અંદાજ છે. છેલ્લા છ મહિનામાં ફુગાવામાં ઘટાડો નોંધાયો છે. જે ઓક્ટોબર, 2024થી આરબીઆઈના ટોલરેન્સ રેન્જની અંદર રહ્યો હતો.
આરબીઆઈએ વ્યાજના દરો ઘટાડ્યા
દેશની આર્થિક વૃદ્ધિની ગાડી પાટા પર વેગવાન બની છે. આરબીઆઈએ શુક્રવારે વ્યાજના દરોમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો હતો. તે પહેલા પણ 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. આરબીઆઈએ છેલ્લા છ મહિનામાં ત્રીજી વખત રેપોરેટમાં ઘટાડો કર્યો છે.