અમેરિકા તથા ચીન બાદ ભારત 2026 સુધીમાં વિશ્વનું ત્રીજુ મોટું અર્થતંત્ર બનશેે
- શેરબજારના દ્રષ્ટિકોણથી ભારતીય ઈક્વિટીને અપગ્રેડ કરાઈને ઓવરવેઈટ કરાઈ હતી

મુંબઈ : નાણાં વર્ષ ૨૦૨૮થી નાણાં વર્ષ ૨૦૩૦ના ગાળામાં ભારત વાર્ષિક ધોરણે ૬.૫૦ ટકાનો આર્થિક વિકાસ દર જાળવી શકશે અને ૨૦૨૬માં તે વિશ્વનું ત્રીજુ મોટું કન્ઝયૂમર બજાર બની રહેશે એટલું જ નહીં ૨૦૨૮ સુધીમાં તે અમેરિકા અને ચીન બાદ ત્રીજુ મોટું અર્થતંત્ર પણ બની જશે એમ યુબીએસના એક રિપોર્ટમાં જણાવાયું છે.
વૈશ્વિક વિકાસ દર જે ૨૦૨૫માં ૩.૨૦ ટકા જોવાઈ રહ્યો છે તે ૨૦૨૬માં સહેજ ઘટી ૩.૧૦ ટકા અને ૨૦૨૮માં ૩.૩૦ ટકા જોવા મળશે.
શેરબજારના દ્રષ્ટિકોણથી યુબીએસ ભારતીય ઈક્વિટીસ માટે અન્ડરવેઈટ છે કારણ કે કંપનીઓની કામગીરીની તુલનાએ મૂલ્યાંકનો હજુપણ ખર્ચાળ જણાઈ રહ્યા છે.
રિટેલ પ્રવાહ બજારને ટેકો આપી રહ્યા છે આમછતાં, વિદેશી રોકાણકારો તરફથી આવી રહેલી વેચવાલી તથા કંપનીઓ તરફથી બજારમાંથી મૂડી ઊભી કરવાની પ્રવૃત્તિમાં થઈ રહેલા વધારા પર નજર રાખવાની રહે છે.
આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)થી સીધા લાભકર્તા સ્ટોકસની ભારત ગેરહાજરી ધરાવે છે. ભારતના સંદર્ભમાં યુબીએસ બેન્કો તથા કન્ઝયૂમર સ્ટેપલ્સ પર પસંદગી ધરાવે છે.
આ અગાઉ ગઈ કાલે ગોલ્ડમેન સાકસે જારી કરેલા રિપોર્ટમાં ભારતીય ઈક્વિટીસને અપગ્રેડ કરી ઓવરવેઈટ કરાઈ હતી અને નિફટીને ૨૯૦૦૦નો ટાર્ગેટ અપાયો હતો, જ્યારે મોર્ગન સ્ટેન્લીએ તો જૂન ૨૦૨૬ સુધીમાં સેન્સેકસ ૧,૦૦,૦૦ પર પહોંચવા ધારણાં મૂકી છે.
નાણાં વર્ષ ૨૦૨૭માં ભારતનો આર્થિક વિકાસ દર ૬.૪૦ ટકા રહેશે જ્યારે ૨૦૨૮માં ૬.૫૦ ટકા જોવા મળશે. ટેકારૂપ નીતિઓ તથા મજબૂત ઘરેલુ માગ દેશના વિકાસ દરને ટેકો આપે છે. ૨૦૨૭માં ભારત એશિયા પેસિફિકનું ઝડપથી વિકસતુ અર્થતંત્ર હશે. ૬.૧૦ ટકા સાથે બીજા ક્રમે ફિલિપાઈન્સ અને ૫.૧૦ ટકા સાથે ત્રીજા ક્રમે ઈન્ડોનેશિયા હશે.
૨૦૨૪ સુધીના છેલ્લા એક દાયકામાં ભારતનો ઘરેલું ઉપભોગ અંદાજે બમણો થઈને ૨.૪૦ ટ્રિલિયન ડોલર પહોંચી ગયો છે. જે ૭.૯૦ ટકા ચક્રવૃદ્ધિ દર્શાવે છે અને ચીન, અમેરિકા તથા જર્મની કરતા આ વૃદ્ધિ મજબૂત છે.

