Get The App

ઈરાન- અમેરિકા શાંતિ કરારને પગલે ઊર્જા પૂરવઠાને ફરી ગતિ મળવાની ભારતને અપેક્ષા

- નિકાસ મોરચે અનિશ્ચિતતા દૂર થવાની આશા પણ ઘરઆંગણે નબળા ચોમાસાની ચિંતા યથાવત

Updated: Jun 16th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાન- અમેરિકા શાંતિ કરારને પગલે  ઊર્જા પૂરવઠાને ફરી ગતિ મળવાની ભારતને અપેક્ષા 1 - image

મુંબઈ : ઈરાન તથા અમેરિકાએ શાંતિ કરાર કરવાની કરેલી જાહેરાત બાદ પશ્ચિમ એશિયામાં ભારતની નિકાસ ફરી વધવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં ભારતની આયાત-નિકાસ ખોરવાઈ ગઈ છે. નિકાસ વધવા સાથે રૂપિયામાં પણ સ્થિરતા આવવાની ધારણાં છે.

શાંતિ કરારથી ભારતને વેપારમાં કદાચ લાભ થઈ રહેશે પરંતુ ઘરઆંગણે નબળા ચોમાસા તથા અલ નિનોની પ્રતિકૂળ અસરે નીતિવિષયકોની ચિંતા વધારી દીધી છે.  દેશમાં વર્તમાન વર્ષના ચોમાસામાં વરસાદની ૨૮ ટકા જેટલી ઘટ જોવા મળી રહી છે. 

જાહેરાત પ્રમાણે શાંતિ કરારનો અમલ થશે તો, તેનાથી ભારતના આયાત બિલમાં ઘટાડો થશે તથા ફુગાવાજન્ય દબાણ હળવું થશે એટલું જ નહીં વેપાર માટે સ્થિતિ સાનુકૂળ બનશે. 

બન્ને દેશો વચ્ચે શાંતિ કરાર શુક્રવારે સ્વીત્ઝરલેન્ડ ખાતે થનાર છે. ત્રણ મહિના કરતા વધુ સમય સુધી ચાલેલા યુદ્ધને કારણે વૈશ્વિક ઊર્જા પૂરવઠા ખોરવાઈ ગયો હતો જેને કારણે મોટાભાગના દેશોમાં ફુગાવાજન્ય સ્થિતિ ઊભી થયેલ છે.

એલપીજી, એલએનજી તથા ક્રુડ ઓઈલની આયાત માટે ભારત મધ્ય પૂર્વના દેશો પર આધાર રાખે છે, ત્યારે શાંતિ કરારથી આ ઈંધણોનો પૂરવઠો વધશે અને ભાવમાં ઘટાડો જોવા મળશે જે ભારત જેવા આયાત નિર્ભર દેશ માટે મોટી રાહત બની રહેશે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.

પોતાની ક્રુડની આયાતમાંથી ૫૦ ટકા આયાત ભારત પશ્ચિમ એશિયા વિસ્તારમાંથી કરે છે. આ ઉપરાંત એલએનજીની ૯૦ ટકા તથા એલપીજીની ૭૦ ટકા આયાત આ વિસ્તારમાંથી થાય છે. 

ખલેલને કારણે ભારતના ઊર્જા આયાત બિલમાં જોરદાર વધારો થયો છે એટલું જ નહીં ફુગાવાના જોખમમાં પણ વધારો થયો  હતો. 

શાંતિ કરારથી નિકાસ મોરચે અનિશ્ચિતતા દૂર થઈ છે એમ એક નિકાસકારે જણાવ્યું હતું. કરારને કારણે સ્થિતિ ફરી પૂર્વવત થવામાં મદદ મળશે એમ ફેડરેશન ઓફ ઈન્ડિયન એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશન (ફીઓ)ના એક હોદ્દેદારે જણાવ્યું હતું.

દરમિયાન ઘરઆંગણે નબળા ચોમાસાને કારણે ખાદ્ય પદાર્થનો ફુગાવો  ઊંચો રહેવાની શકયતા જોવાઈ રહી છે. ખાદ્ય પદાર્થોના ઊંચા ભાવને કારણે એકંદર ફુગાવો પણ ઊંચો રહે છે.