Business

ભારત-EFTA વેપાર કરાર ૧ ઓક્ટોબરથી અમલમાં આવશે

By GS TEAM
30 Sep 20251 min read
ભારત-EFTA વેપાર કરાર ૧ ઓક્ટોબરથી અમલમાં આવશે

નવી દિલ્હી : લગભગ દોઢ વર્ષની લાંબી રાહ જોયા પછી, ભારત અને ચાર સભ્યોના યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) વચ્ચેનો વેપાર કરાર ૧ ઓક્ટોબરથી અમલમાં આવશે. બંને પક્ષોએ ૧૦ માર્ચ, ૨૦૨૪ના રોજ વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ આ ચાર દેશોમાં પ્રક્રિયાગત ઔપચારિકતાઓને કારણે અમલીકરણમાં વિલંબ થયો છે.

યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન બ્લોકમાં આઇસલેન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ, નોર્વે અને લિક્ટેંસ્ટેઇનનો સમાવેશ થાય છે. આ વેપાર કરારને વેપાર અને આર્થિક ભાગીદારી કરાર કહેવામાં આવે છે. આ એક મુખ્ય યુરોપિયન આર્થિક બ્લોક સાથે ભારતના આર્થિક એકીકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.

 આ ભારતનો કોઈપણ યુરોપિયન દેશ અથવા બ્લોક સાથે અમલમાં મુકાયેલો પ્રથમ વેપાર કરાર છે. આ કરાર હેઠળ, ભારતે યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન દેશોના ૮૦-૮૫ ટકા માલ પર ટેરિફ ઘટાડવાનું વચન આપ્યું છે.

બદલામાં, ભારતને ૯૯ ટકા માલ પર ડયુટી-મુક્ત બજાર પ્રવેશ મળશે. બંને પક્ષોએ ખેડૂતોને રક્ષણ આપવા માટે મોટાભાગના કૃષિ અને ડેરી ઉત્પાદનોને ટેરિફ કન્સેશનમાંથી બાકાત રાખ્યા છે. ભારતના મતે, વેપાર કરારનો સૌથી મોટો ફાયદો યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન દેશો તરફથી પ્રાપ્ત રોકાણ પ્રતિબદ્ધતાઓ છે. 

યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન દેશો કરાર અમલમાં આવ્યાના ૧૦ વર્ષમાં ભારતમાં ૫૦ બિલિયન ડોલરનું રોકાણ કરે તેવી અપેક્ષા છે, આનાથી ૧૫ વર્ષમાં ભારતમાં ૧ મિલિયન સીધી નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે.