ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું ઉડ્ડયન બજાર બન્યું
- IATA અનુસાર, ટોચના ૧૦ હવાઈ માર્ગોમાં, મુંબઈ-દિલ્હી રૂટ વર્ષ ૨૦૨૪માં સાતમા ક્રમે
અમદાવાદ : ભારત વિશ્વના પાંચમા સૌથી મોટા ઉડ્ડયન બજાર તરીકે ઉભરી આવ્યું છે અને મુંબઈ-દિલ્હી રૂટ વિશ્વના સૌથી વ્યસ્ત હવાઈ માર્ગોની યાદીમાં સાતમા ક્રમે છે. ઉડ્ડયન કંપનીઓના જૂથ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશને જણાવ્યું હતું.
અહેવાલ મુજબ, ભારતમાં ૨૦૨૩ની સરખામણીમાં ૨૦૨૪માં ૧૧.૧ ટકાનો વધારો નોંધાયો હતો અને કુલ ૨૧.૧ કરોડ મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી. આ આંકડો જાપાન કરતા વધારે છે, જ્યાં ૨૦૨૪માં ૨૦.૫ કરોડ મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી. જોકે, જાપાનમાં વાર્ષિક વૃદ્ધિ દર ૧૮.૬ ટકા હતો.
અમેરિકા વિશ્વનું સૌથી મોટું ઉડ્ડયન બજાર રહ્યું છે, જ્યાં ૨૦૨૪માં ૮૭૬ મિલિયન મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી. તે જ સમયે, ચીન આ યાદીમાં બીજા ક્રમે હતું, જ્યાં આ જ સમયગાળામાં ૭૪૧ મિલિયન મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી અને ૨૦૨૩ની તુલનામાં ૧૮.૭ ટકાનો વધારો નોંધવામાં આવ્યો હતો. બ્રિટન (૨૬૧ મિલિયન મુસાફરો) ત્રીજા સ્થાને અને સ્પેન ચોથા સ્થાને (૨૪૧ મિલિયન મુસાફરો) હતું. જ્યારે ભારત પાંચમા સ્થાને રહ્યું હતું.