આવકવેરામાં રાહત અને GSTમાં ઘટાડાથી દેશના વપરાશકારોના આશાવાદમાં વધારો
- શહેરી તથા ગ્રામ્ય વપરાશકારોનો ખર્ચ માટેનો કોન્ફિડેન્સ મજબૂત બન્યો: રિઝર્વ બેન્ક
મુંબઈ : આવક વેરામાં રાહત અને ત્યારબાદ ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડાને પગલે ભારતના ઉપભોગતાઓ મોટા ખર્ચ કરવા માટે ઉત્સાહી થયા હોવાનું રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના છેલ્લામાં છેલ્લા સર્વેમાં જણાયું છે. ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના ઉપભોગતા ખર્ચ માટેનો કોન્ફિડેન્સ વધ્યો હોવાનું સર્વેમાં જણાયું હોવાનું રિઝર્વ બેન્ક દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
શહેરી ઉપભોગતાનો ભાવિ અપેક્ષાઓનો ઈન્ડેકસ જે જુલાઈમાં ૧૨૪.૭૦ રહ્યો હતો તે સપ્ટેમ્બરમાં સહેજ વધી ૧૨૫ રહ્યો છે, જ્યારે ગ્રામ્ય ઉપભોગતામાં આ આંક ૧૨૭.૭૦ પરથી વધી ૧૨૭.૯૦ રહ્યો છે. આંકડાની દ્રષ્ટિએ આ વધારો ભલે સામાન્ય જણાય પરંતુ ૧૦૦થી ઉપરના ઈન્ડેકસ ઉપભોગતા જબ્બર આશાવાદી હોવાનું સૂચવે છે.
ઉપભોગતાઓના હાથમાં ખર્ચ માટે વધુ નાણાં પૂરા પાડવા સરકાર દ્વારા ફેબુ્રઆરીમાં આવક વેરામાં જ્યારથી રાહત જાહેર કરવામાં આવી છે ત્યારથી શહેરી ઉપભોગતાના વિશ્વાસમાં સ્થિર વધારો થઈ રહ્યો છે.
ગ્રામ્ય વિસ્તારના ઉપભોગતાનો આશાવાદ પણ મજબૂત જોવા મળી રહ્યો છે. વર્તમાન નાણાં વર્ષના બજેટ બાદ તેમના વિશ્વાસમાં વધારો થયો છે અને હવે જીએસટીમાં કપાતથી પોઝિટિવ માનસને વધુ બળ મળ્યું છે.
ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના ઉપભોગતા એક વર્ષ અગાઉની સરખામણીએ હાલમાં રોજગારને લઈને વધુ નિશ્ચિત જણાઈ રહ્યા છે. એક વર્ષ સુધીના રોજગારના ભાવિ બાબતમાં શહેરી કરતા ગ્રામ્ય વિસ્તારના વપરાશકારો વધુ આશાવાદ ધરાવી રહ્યા હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
વર્તમાન વર્ષમાં ચોમાસુ સારુ રહ્યું હોવાનું ધ્યાનમાં રાખતા ગ્રામ્ય વિસ્તારનો આશાવાદ વધવામાં કોઈ આશ્ચર્ય જણાતું નથી. આવકના ભાવિને લઈને પણ આવો જ આશાવાદ પ્રવર્તી રહ્યો છે. શહેરી વિસ્તારના પચાસ ટકાથી વધુ ઉપભોગતા આગામી એક વર્ષ માટે રોજગારનું ભાવિ આશાસ્પદ હોવાનું માની રહ્યા છે અને આવકનું સ્તર પણ વધવાનો વિશ્વાસ ધરાવી રહ્યા છે.
જો કે આમાંના મોટાભાગના લોકો તેમની વર્તમાન સ્થિતિથી નાખૂશ છે. ગ્રામ્ય વિસ્તારના ઉપભોગતા પણ તેમની રોજગાર તથા આવકની વર્તમાન સ્થિતિથી ખૂશ નથી.