મુંબઈ : વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈસ) ભારતીય ઈક્વિટી બજારમાં સતત વેચવાલી કરી રહ્યા છે ત્યારે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની સતત ખરીદીને કારણે વર્તમાન વર્ષના પ્રથમ પાંચ મહિનામાં જ તેમની નેટ ઈક્વિટી ખરીદી આંક રૂપિયા ચાર લાખ કરોડને પાર કરી ગયો છે.
૨૦૨૬માં અત્યારસુધીમાં ડીઆઈઆઈએ રૂપિયા ૪.૧૬ લાખ કરોડની નેટ ખરીદી કરી છે જ્યારે એફપીઆઈસે રૂપિયા ૨.૭૦ લાખ કરોડના શેર્સનું વેચાણ કર્યું છે.
વર્તમાન મહિનામાં ઘરેલું સંસ્થાકીય રોકાણકારોએ રૂપિયા ૩૯૦૯૮ કરોડની નેટ ખરીદી કરી છે જ્યારે વિદેશી રોકાણકારોએ રૂપિયા ૩૫૪૪૫ કરોડની નેટ વેચવાલી કરી હોવાનું સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના આંકડા જણાવે છે.
૨૦૨૫ના સંપૂર્ણ વર્ષમાં ડીઆઈઆઈએ ભારતીય ઈક્વિટીસમાં નેટ રૂપિયા ૭.૭૫ લાખ કરોડનું રોકાણ કર્યું હતું જે કોઈ એક વર્ષમાં અત્યારસુધીનું વિક્રમી રોકાણ હતું.
ડીઆઈઆઈમાં વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફન્ડસ, બેન્કો તથા રિટાયરમેન્ટ ફન્ડસનો સમાવેશ થાય છે.
ભારતીય ઈક્વિટીસમાં વોલેટિલિટી અને વિદેશી રોકાણકારોની જંગી વેચવાલી છતાં ઘરેલું રોકાણકારોનો ઈન્ફલોસ જોવા મળી રહ્યો છે.
અમેરિકા, ઈરાન તથા ઈઝરાયેલને સંડોવતા તાજેતરના યુદ્ધને કારણે ક્રુડના ભાવ ઊંચે ગયા છે, જેને પરિણામે ફુગાવા તથા રાજકોષિય દબાણની ચિંતા ઊભી થઈ છે.
મ્યુચ્યુઅલ ફન્ડોમાં જંગી ઈન્ફલોસને કારણે તેમના દ્વારા ઈક્વિટી ખરીદીમાં વધારો થઈ રહ્યો છે જ્યારે વિદેશી રોકાણકારો ઊંચા મૂલ્યાંકને ભારતમાંથી નાણાં પાછા ખેંચી અન્ય ઊભરતી બજારોમાં નાણાં ઠાલવી રહ્યા હોવાનું એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
વર્તમાન વર્ષમાં ભારતીય ઈક્વિટીસમાં વળતર નબળું જોવા મળી રહ્યું છે. સેન્સેકસ ૧૩ ટકાથી વધુ જ્યારે નિફટી ૧૧ ટકાથી વધુ ઘટી ગયો છે.
મ્યુચ્યુઅલ ફંડોની સંપત્તિ છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ રૂ.૧૨ લાખ કરોડથી વધીને રૂ.૮૦ લાખ કરોડથી વધુ પહોંચી ગઈછે, જ્યારે મૂડી બજારોમાં રિટેલ ભાગીદારી સતત વધી રહી છે.
દેશમાં હવે સિક્યુરિટીઝ માર્કેટમાં લગભગ ૧૪.૫ કરોડ રોકાણકારો છે અને તેમના સ્તરમાં વાર્ષિક ૨૦ ટકાથી વધુના દરે વધારો થઈ રહ્યો છે.


