Get The App

એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે

- નિર્ણયને કારણે ડયૂટી ફ્રી આયાતના થઇ રહેલા કથિત દૂરુપયોગમાં ઘટાડો થવાની અપેક્ષા

Updated: May 16th, 2026

GS TEAM

Google News
Google News
એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે 1 - image

મુંબઈ : સોનાચાંદી પરની આયાત ડયૂટીમાં વધારો કર્યા બાદ સરકારે સોનાની આયાત પર વધુ અંકૂશ મૂકવાના ભાગરૂપ એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ સોનાની આયાત મર્યાદા ૧૦૦ કી. ગ્રા. કરવાના નિર્ણયથી આર્બિટ્રેજ ટ્રેડિંગ પર અંકૂશ આવશે અને ફોરેકસ પરનું દબાણ પણ હળવું થશે એમ બજારના સુત્રો માની રહ્યા છે. આ નિર્ણયને કારણે ડયૂટી ફ્રી આયાતના થતા કથિત દૂરુપયોગમાં ઘટાડો થશે.

મર્યાદા લાગુ કરાવાને કારણે સોનાની વધુ પડતી આયાત અટકશે અને સત્તાવાળા માટે આવા પ્રકારની આયાત પર દેખરેખ રાખવાનું સરળ બનશે. 

સ દર નિર્ણયને કારણે દેશના ફોરેકસ રિઝર્વ પરના દબાણમાં ઘટાડો થશે. ક્રુડ તેલના ઊંચા ભાવને કારણે દેશના ફોરેકસ રિઝર્વ તથા રૂપિયા પર દબાણ આવ્યું છે, એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું. 

 સ્કીમ હેઠળ જ્વેલરી નિકાસકારો કાચા અથવા ઈનપુટ સામગ્રીની શૂન્ય ડયૂટીએ આયાત કરી શકે છે. શૂન્ય ડયૂટીએ આયાતને કારણે સોનાનું  મોટેપાયે આર્બિટ્રેજ ટ્રેડિંગ  થઈ રહ્યાનું બજારના સુત્રો દાવો કરી રહ્યા છે. જો નવી મર્યાદાને કારણે આવા પ્રકારના ટ્રેડિંગ પર અંકૂશ આવશે તેવો મત પ્રવર્તી રહ્યો છે.

આર્બિટ્રેજ ટ્રેડિંગમાં નીચા ભાવે માલ મેળવી અન્ય બજારમાં ઊંચા ભાવે તેનું વેચાણ કરી નોંધપાત્ર નફો રળી લેવામાં આવે છે. 

બુધવારે લેવાયેલા નિર્ણયમાં ગોલ્ડ પર બેઝિક કસ્ટમ્સ ડયૂટી ૧૦ ટકા ઉપરાંત એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રકચર અને ડેવલપમેન્ટ સેસ (એઆઈડીસી) ૧ ટકા પરથી પાંચ ગણો વધારી પાંચ ટકા કરીને એકંદર ડયૂટી દર ૧૫ ટકા કરાયો છે. આ ઉપરાંત સોનાના આયાતકારોએ ૩ ટકા આઈજીએસટી પણ ભરવાનો રહે છે. આમ  ડયૂટીનો કુલ અસરકારક દર ૯.૧૮ ટકા પરથી વધી ૧૮.૪૫ ટકા થઈ ગયો છે. 

ગોલ્ડની આયાત માટેના એડવાન્સ ઓથોરાઈઝેશન જારી કરવાની તથા નિરીક્ષણ માટેની  શરતોને સખત બનાવાઈ છે. અગાઉ આ સ્કીમ હેઠળ જ્વેલરીના નિકાસકારો માટે ગોલ્ડની આયાત પર કોઈ મર્યાદા નહોતી.નિકાસ પ્રોડકટના ઉત્પાદનમાં વપરાતા કાચા માલની સદર સ્કીમ હેઠળ ડયૂટી ફ્રી આયાત કરી શકાય છે.

ડાયરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા ગઈ રાતે જારી કરાયેલા નોટિફિકેશન પ્રમાણે, સોનાની આયાત માટે એડવાન્સ ઓથોરાઈઝેશન હેઠળ પહેલી જ વખત અરજી કરનારા અરજદારની ઉત્પાદન સવલતનું સત્તાવાળા દ્વારા ફરજિયાત નિરીક્ષણ હાથ ધરાશે, જેમાં અરજદારના એકમની ક્ષમતા અને સ્થિતિની ચકાસણી કરવામાં આવશે.