Get The App

1 જૂનથી રૂની આયાત ડયૂટી પાંચ મહિના માટે નાબુદ કરવામાં આવી

- ઊંચા ભાવને પગલે વિશ્વ બજારમાં સ્પર્ધાત્મક રહેવાનું ટેકસટાઈલ ક્ષેત્ર માટે પડકારરૂપ હતું

Updated: May 31st, 2026

GS TEAM

Google News
Google News
1 જૂનથી રૂની આયાત ડયૂટી પાંચ મહિના માટે નાબુદ  કરવામાં આવી 1 - image

મુંબઈ : ટેકસટાઈલ ઉદ્યોગની લાંબા સમયની માગણીને ધ્યાનમાં રાખી સરકારે રૂની આયાત ડયૂટીને ઓકટોબર સુધી નાબુદ કરવાની શનિવારે જાહેરાત કરી હતી. સરકારનો આ નિર્ણય ૧ જૂનથી લાગુ થશે. રૂની આયાત ડયૂટી પાંચ મહિના માટે માફ કરવામાં આવી છે.   

ઘરઆંગણેના ટેકસટાઈલ ઉદ્યોગને વ્યવહારિક ભાવે રૂ ઉપલબ્ધ બની રહે તે હેતુસર તેના પરની બેઝિક કસ્ટમ્સ ડયૂટી તથા એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ડેવલપમેન્ટ સેસ નાબુદ કરાયો છે. 

રૂનો પૂરવઠો વધારવા તથા ટેકસટાઈલ ઉદ્યોગને કાચા માલ સસ્તામાં મળી રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું નાણાં મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. 

રૂનો ખાસ વેપાર ન થતો હોય તેવા ચોમાસાના સમયગાળામાં ડયૂટીમાં માફી આપવામાં આવતા ખેડૂતોને  સ્પર્ધાનો સામનો કરવો  નહીં પડે. ૧લી જાન્યુઆરીથી રૂ પર ૧૧ ટકા ડયૂટી વસૂલવામાં આવી રહી  હતી. 

વિશ્વ બજારમાં સ્પર્ધાત્મક બની રહેવા ટેકસટાઈલ ક્ષેત્ર લાંબા સમયથી ઈમ્પોર્ટ ડયૂટી નાબુદ કરવા માગણી કરી રહ્યું હતું. 

ઘરઆંગણે નીચા ઉત્પાદનને કારણે રૂના ભાવમાં તાજેતરમાં વધારો થયો હતો જેને પરિણામે નિકાસ બજારમાં સ્પર્ધામાં ઊભા રહેવાનું પડકારરૂપ બની ગયું હોવાનું ઉદ્યોગના સુત્રોએ અગાઉ જણાવ્યું હતું. 

ઘરઆંગણે રૂના ભાવ ઊંચકાતા ગારમેન્ટ તથા ટેકસટાઈલ ઉદ્યોગમાં માર્જિન પર અસર પડી હતી એટલુ જ નહીં નિકાસ બજારમાં સ્પર્ધાત્મકતા ઘટી ગઈ હતી. ક્રુડ તેલના ઊંચા ભાવને કારણે સિન્થેટિક ફાઈબર્સના ભાવ વધી ગયા છે જેને કારણે મિલોએ કુદરતી કાચા માલ તરફ વળવું પડયું છે પરિણામે રૂના ભાવમાં ૧૦થી ૧૨ ટકા જેટલો વધારો થયો હતો. યુદ્ધને કારણે પણ ભાવમાં  વધારો થયો છે. 

ગારમેન્ટની નિકાસ માટે ભારતના ઉત્પાદકોએ લોન્ગ આયાતી સ્ટેપલ તથા રૂ પર આધાર રાખવો પડે છે. 

ટેકસટાઈલની ૭૦ ટકા મૂલ્ય સાંકળ રૂ પર આધાર રાખતી હોવાથી રૂની આયાત પર કસ્ટમ ડયૂટી પાંચથી છ મહિના સુધી  રદ કરવા સરકાર સમક્ષ ઉદ્યોગ  દ્વારા અગાઉ રજૂઆત કરાઈ હતી.