વિવાહિત મહિલા કેટલું સોનું રાખી શકે? જો વધુ હોય તો પહેલા આ કામ પતાવો, નહીં તો મુકાઈ જશો મુશ્કેલીમાં...
મહિલાઓ માટે જો સૌથી પ્રિય કંઈ હોય તો તે સોનું છે, તેમજ સોનું નબળા સમયમાં સાથી પણ બની રહે છે
એવામાં સોનું લોકો માટે ખજાનો બની રહેતું હોય છે ત્યારે એ પણ જાણવું જરૂરી છે કે તમે ઘરમાં કેટલું સોનું રાખી શકો છો
How much Gold you can keep: ભારતીયો માટે સોનું સૌથી પ્રિય અને પવિત્ર ધાતુ છે. લગ્ન પ્રસંગે તેમજ દરેક શુભ પ્રસંગોમાં સોનાને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ ઉપરાંત સ્ત્રીઓને સોના પ્રત્યે ખુબ લગાવ પણ હોય છે. સોનું ખરાબ સમયમાં સાથી બનીને ઉભું રહે છે આથી તેને વિશ્વસનીય ધાતુ પણ કહેવામાં આવે છે. પરંતુ વર્તમાન સમયમાં કાળું નાણું ધરાવનારાઓ માટે સોનું પણ પોતાનું કાળું નાણું છુપાવવાનું સાધન બની ગયું છે. આવી સ્થિતિમાં સરકારે સોનું રાખવા બાબતે ઘણા નિયમો બનાવ્યા છે. તો જાણીએ એ નિયમો વિષે.
પરિણીત મહિલાઓ કેટલું સોનું રાખી શકે છે?
લોકો દ્વારા થતી આવકવેરાની ચોરી શોધવા માટે સરકારે નિયમોને ખૂબ કડક બનાવ્યા છે. જે મુજબ તમે કેટલું સોનું રાખી શકો તેની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મુજબ એક પરિણીત મહિલા પોતાની પાસે વધુમાં વધુ 500 ગ્રામ સોનું રાખી શકે છે. જયારે અપરિણીત મહિલાઓ માત્ર માત્ર 250 ગ્રામ સોનું રાખી શકે છે. તેમજ કોઈપણ પરણિત કે અપરણિત પુરુષ વધુમાં વધુ 100 ગ્રામ જ સોનું પોતાની પાસે રાખી શકે છે.
જો મર્યાદા કરતા વધુ સોનું મળી આવે તો?
જો આ જણાવેલી મર્યાદા સુધી તમે સોનું રાખો છો તો તમારે તેના માટે કોઈ પુરાવા આપવાની જરૂર રહેશે નહીં. પરંતુ જો આ મર્યાદા કરતા વધુ સોનું હશે તો તમારે દર વર્ષે આવકવેરા રિટર્નમાં આ અંગે માહિતી આપવાની રહેશે. જો તમે રિટર્નમાં માહિતી આપી નથી અને તમારી પાસે મર્યાદા કરતાં વધુ સોનું મળી આવે છે તો દરોડા દરમિયાન તે જપ્ત કરવામાં આવશે અને કોર્ટ કેસ પણ દાખલ થશે. જેમાં તમારે સાબિતી આપવાની રહેશે કે તમારી પાસે મળી આવેલું સોનું કોઈ કાળા નાણાનો ભાગ નથી. જો તમે આ બાબત સાબિત નથી કરી શકતા તો તમારી સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
જો પૂર્વજોના ઘરેણા તમારી પાસે હોય તો?
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મુજબ જો તમે સંયુકત પરિવારમાં રહો છો અને તમને વારસામાં સાસુ-સસરા કે પૂર્વજોના ઘરેણા મળેલા છે તો તમારે પરેશાન થવાની જરૂર નથી. કારણ કે એ પૂર્વજોના ઘરેણા તમારા સોનાની મર્યાદામાં નથી આવતા. તેમજ માતાપિતા તરફથી મળતી ગીફ્ટ તરીકે મળતા સોના ઉપર આવકવેરા વિભાગ દ્વારા છૂટ મળે છે. આ સિવાય લગ્નમાં મિત્ર કે સંબંધીઓ તરફ ગીફ્ટમાં મળતા સોના પર પણ આવકવેરા વિભાગ દ્વારા છૂટ મળે છે. પરંતુ જો તમને આ ઘરેણા પર કોઈ લાભ મળે છે તો તેના પર તમારે આવકવેરો ભરવો ફરજીયાત છે. ટેક્સ નિષ્ણાતો મુજબ જો તમારી પાસે મર્યાદા કરતાં વધુ સોનાના દાગીના હોય અને આ તમામ કાયદેસર રીતે હસ્તગત કરવામાં આવ્યા હોય, તો તમારે આવકવેરા રિટર્નમાં આ માહિતી આપવી આવશ્યક છે. આથી એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જો તમારી પાસે સોનું મર્યાદા કરતા વધુ છે તો તમારે તેની માહિતી આવકવેરા રિટર્નમાં આપવી પડશે.