India-Singapore Trade : અમેરિકા-ઈરાન વિવાદના કારણે ઘણા સમયથી હોર્મુઝ જળમાર્ગ સંપૂર્ણ બંધ જેવી સ્થિતિમાં છે, આ માર્ગમાંથી તમામ સપ્લાય બંધ થઈ ગઈ છે, જેની અસર ભારત પર પણ પડી રહી છે. હવે હોર્મુઝ બંધ હોવા છતાં એક હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રએ ભારત સાથે મિત્રતા નિભાવી છે, જેના કારણે નિકાસમાં 180 ટકાનો વધારો થયો છે.
હોર્મુઝ વિવાદ બાદ ભારતની મહેનત રંગ લાવી
રિપોર્ટ મુજબ, હોર્મુઝ વિવાદ બાદ ભારતે એક્ટીવ મોડમાં આવી નિકાસ માર્ગ બદલવાના તમામ પ્રયાસો શરૂ કરી દીધા છે. આ જ કારણે એપ્રિલ-2026માં સંયુક્ત આરબ અમીરાત (UAE)ને પાછળ છોડી સિંગાપુર (Singapore) ભારત પાસેથી વધુમાં વધુ માલ ખરીદી રહ્યો છે, જેના કારણે સિંગાપુર ભારત માટે બીજા નંબરનું સૌથી મોટું નિકાસ બજાર બની ગયું છે. અગાઉ અમેરિકા બાદ યુએઈ માટે ભારત સૌથી મોટું નિકાસ બજાર હતું, જોકે હવે સિંગાપુરે યુએઈનું સ્થાન લઈ લીધું છે.
ભારતની સિંગાપુરમાં નિકાસ વધી
એપ્રિલ-2025માં ભારતે સિંગાપુરમાં 1.14 અબજ ડૉલરની નિકાસ કરી હતી, જોકે હોર્મુઝ વિવાદ બાદ એપ્રિલ-2026માં સિંગાપુરમાં ભારતીય પ્રોડક્ટની માંગમાં અદમ્ય વધારો થયો છે, જેના કારણે ભારતની સિંગાપુરમાં નિકાસ 180 ટકા વધીને 3.20 બિલિયન ડૉલર પર પહોંચી ગઈ છે.
ભારતની યુએઈમાં નિકાસ ઘટી
બીજીતરફ ભારતે ગત વર્ષે યુએઈમાં 3.46 અબજ ડૉલરની નિકાસ કરી હતી, જોકે આ વર્ષે તેમાં 36 ટકાનો ઘટાડો થયો છે. એટલે કે ભારતે આ વર્ષે માત્ર 2.18 બિલિયન ડૉલરની નિકાસ કરી છે. યુએઈ માટે ભારત ઘણા વર્ષોથી બીજા નંબરનો નિકાસકાર દેશ હતો, જોકે હવે યુએઈની જગ્યા સિંગાપુરે લઈ લીધી છે.
ભારત-સિંગાપુર વચ્ચે 1000 વર્ષ જૂના સંબંધ
ભારત અને સિંગાપુર વચ્ચે 1000 વર્ષ જૂના અને ગાઢ સંબંધો છે. 11મી સદીમાં દક્ષિણ ભારતના પ્રતાપી ચોલ રાજાઓએ (રાજેન્દ્ર ચોલ પ્રથમ) દરિયાઈ અભિયાનો ચલાવ્યા હતા. આ દરમિયાન મલય ક્ષેત્ર (સિંગાપુર પણ સામેલ હતું) સાથે વ્યાપારીક અને સાંસ્કૃતિક સંબંધો સ્થાપવામાં આવ્યા હતા. સિંગાપુરનું મૂળ નામ ‘સિંહપુર’ (સિંહોનું શહેર) સંસ્કૃત ભાષામાંથી જ પ્રેરિત છે, જે બંને દેશોના ઊંચા સંબંધોને દર્શાવે છે.
ખાડી દેશો સાથે ભારતનો વેપાર ઘટ્યો
નિકાસની સાથે જો આયાતના આંકડા પર નજર કરીએ તો, એપ્રિલમાં ભારતે ઓમાન પાસેથી ત્રણ ઘણી આયાત કરી છે. જ્યારે કતર પાસેથી ખરીદી 47 ટકા ઘટી ગઈ છે. તો સાઉદી અરેબિયા પાસેથી ભારતની આયાત ફરી ઝડપી વધી ગઈ છે. ભારત દ્વારા આયાત-નિકાસમાં કરાયેલા ફેરફારથી સ્પષ્ટ છે કે, ભારત હેવ માત્ર પરંપરાગત ખાડી માર્ગ પર નિર્ભર રહેવા માંગતો નથી. અમેરિકા-ઈરાન યુદ્ધ બાદ કંપનીઓ હવે સપ્લાય ચેન સુરક્ષિત રાખવા માર્ગ તરફ વળી રહ્યા છે.


