FACT CHECK : શું સપ્ટેમ્બર મહિનાથી ATMમાં 500ની નોટો નહીં નીકળે, RBIએ કરી સ્પષ્ટતા
Fact Check On 500 Rupees Notes Circulation: સોશિયલ મીડિયા પર એક મેસેજ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, આરબીઆઈએ બેન્કોને સપ્ટેમ્બર, 2025 સુધી એટીએમમાંથી રૂ. 500ની નોટનું વિત્તરણ બંધ કરવા આદેશ આપ્યો છે. જો કે, ફેક્ટ ચેકમાં આ દાવો તદ્દન ખોટો છે. આરબીઆઈએ આ પ્રકારની કોઈ નોટિસ કે નિર્દેશ જાહેર કર્યા નથી. આ મેસેજ લોકોને ભ્રમિત કરવા ફેલાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર એક મેસેજ વાઈરલ થયો છે કે, સપ્ટેમ્બરથી એટીએમમાંથી રૂ. 500ની નોટ નહીં નીકળે. આરબીઆઈએ બેન્કોને રૂ. 500ની નોટની ફાળવણી બંધ કરવા નિર્દેશ આપ્યો છે. જો કે, સત્તાવાર અધિકારીઓેએ આ મેસેજને અફવા ગણાવ્યો છે. સામાન્ય પ્રજાને આ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરવા સલાહ આપી છે. રૂ. 500ની નોટ લીગલ ટેન્ડર રૂપે સંપૂર્ણપણે માન્ય છે. જેનો ઉપયોગ નાણાકીય વ્યવહાર માટે થઈ શકે છે.
આરબીઆઈએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આ નોટના લીગલ ટેન્ડરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બેન્કો અને એટીએમમાંથી રૂ. 500ની નોટની ઉપલબ્ધતા ચાલુ રહેશે. આ પ્રકારની ભ્રામક અફવાઓ પર ધ્યાન ન આપવા સલાહ છે.
આ પણ વાંચોઃ શું તમારા PF એકાઉન્ટમાં વ્યાજના પૈસા જમા થયા? આ રીતે મિનિટોમાં જ ચેક કરો બેલેન્સ
નાણાકીય બાબતો મામલે ફેક્ટ ચેક અવશ્ય કરો
આરબીઆઈ અવારનવાર કોઈપણ નાણાકીય બાબતો મામલે વાઈરલ ન્યૂઝ કે, મેસેજ પર સીધો વિશ્વાસ ન કરવા સલાહ આપતી હોય છે. આ પ્રકારની અફવાઓથી બચવા માટે હંમેશા આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ કે તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સની મદદ લો. જો કોઈ સંદિગ્ધ મેસેજ પ્રાપ્ત થાય તો તેને તુરંત શેર કરવો જોઈએ નહીં. સૌ પ્રથમ તેનું ફેક્ટ ચેક કરો. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો જેવા વિશ્વસનીય ફેક્ટ ચેક સ્રોતોની મદદ લો. આ પ્રકારની ખોટી અફવાઓ મોટા નાણાકીય નુકસાનનો ભોગ બનાવી શકે છે. તે સમાજમાં અવ્યવસ્થા અને ભય પેદા કરે છે. જેથી જવાબદાર નાગરિક તરીકે સજાગ રહેવાની જરૂર છે.