કુદરતી અને માનવસર્જિત આફતોને કારણે ખેતીમાં થતા નુકસાનને પહોંચી વળવા માટે સરકાર વીમા યોજના લઈને આવે છે. નાનું પ્રીમિયમ ચૂકવીને, ખેડૂત પોતાને આફતોથી બચાવી શકે છે, પરંતુ દેશી અને વિદેશી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી વીમા યોજનાઓનો અનુભવ દર્શાવે છે કે પાક વીમો ખરેખર તો કિસાનોને બદલે કંપનીઓને ઘણા પૈસા કમાવવામાં મદદ કરે છે. કુદરતી આફતના કારણે દર વર્ષે ખેતીમાં પાકને મોટું નુકસાન થાય છે. આવી સ્થિતિમાં ખેડૂતોને પાકના નુકસાનનું વળતર આપવાની જવાબદારી સરકારની છે. વળતર માટે, કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને કૃષિ બજેટમાં દર વર્ષે લગભગ ૨૦થી ૨૫ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરે છે. સરકારે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એવી પારદર્શક યોજના બનાવવી જોઈતી હતી, જેથી તમામ અસરગ્રસ્ત ખેડૂતોને સીધો લાભ મળી શકે.
પરંતુ સરકારે વળતર આપવા માટે 'પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના' નામની યોજના બનાવી, જેથી ખેડૂતોને નહીં, પરંતુ કંપનીઓને ફાયદો થઈ રહ્યો છે. જે કંપનીઓને ખેતી સાથે ન્હાવા-નિચોવાનો પણ સંબંધ નથી, એવી કંપનીઓને માત્ર વળતર વહેંચવા માટે જંગી લાભો આપવામાં આવી રહ્યા છે. છાને પગલે ખેડૂતોના હક્ક પાક વીમા કંપનીઓને સોંપવામાં આવી રહ્યા છે. પાક વીમા યોજના હેઠળ વળતર આપવા માટે ખેડૂતોને રૂ. ૨૮,૮૪૭ કરોડ, કેન્દ્ર અને રાજ્ય સરકારોને રૂ. ૧, ૯૬, ૨૨૮ કરોડ સાત વર્ષમાં પાક વીમા કંપનીઓને સોંપવામાં આવ્યા હતા. આ વર્ષોમાં ૪૬.૯૨ કરોડ ખેડૂતો 'પાક વીમા યોજના'માં જોડાયા હતા, જેમાંથી માત્ર ૧૨.૯૮ કરોડ ખેડૂતોને જ વળતર મળ્યું છે. આમાં કરોડો ખેડૂતોને બહુ ઓછું વળતર મળ્યું. ૩૩.૯૪ કરોડ ખેડૂતોને કશું મળ્યું નહીં, ઊલટું આ ખેડૂતોને દર વર્ષે જમા કરવામાં આવતી વીમા પ્રીમિયમની રકમનું નુકસાન સહન કરવું પડયું.
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ઈ. સ. ૨૦૧૬માં શરૂ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૭-૧૮થી ૨૦૨૪-૨૫ના ઉપલબ્ધ સરકારી આંકડાઓ સ્પષ્ટ કરે છે કે પાક વીમા કંપનીઓએ પાછલા ૭ વર્ષમાં દર વર્ષે ૮થી ૧૦ હજાર કરોડ રૂપિયાના દરે ૬૦ હજાર કરોડ રૂપિયાની લૂંટ કરી છે. મહારાષ્ટ્રમાંથી ૧૨, ૪૮૪ કરોડ રૂપિયા, રાજસ્થાનમાંથી ૧૦, ૫૨૪ કરોડ રૂપિયા, મધ્યપ્રદેશમાંથી ૯, ૭૭૭ કરોડ રૂપિયા અને ગુજરાતમાંથી ૬, ૬૨૮ કરોડ રૂપિયા લૂંટાયા છે. એવું લાગે છે કે આ મોટી લૂંટ માટે પાક વીમા કંપનીઓ પોતાના દ્વારા ખેડૂત મતદારોને પ્રભાવિત કરવાના હેતુથી ચૂંટણીમાં સરકારને ફાયદો પહોંચાડવાના હેતુથી કામ કરે છે. વળતરની વહેંચણી ચૂંટણીનાં વર્ષોમાં જ થાય છે. મધ્યપ્રદેશમાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૫૮૯૪ કરોડ રૂપિયા, વર્ષ ૨૦૧૯-૨૦માં ૫૮૧૨ કરોડ રૂપિયા અને વર્ષ ૨૦૨૦-૨૧માં ૭૭૯૧ કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે.
મધ્ય પ્રદેશમાં નવેમ્બર ૨૦૧૮માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી, મે ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીઓ યોજાઈ હતી અને નવેમ્બર ૨૦૨૦માં ૨૮ બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી, જ્યારે મધ્ય પ્રદેશમાં કંપનીઓએ કુલ ૩૫,૫૦૬ કરોડ રૂપિયાનું વીમા પ્રિમિયમ મેળવ્યું હતું. તેમાંથી ૨૫,૭૨૯ કરોડ રૂપિયા ખેડૂતોને વળતર તરીકે આપવામાં આવ્યા હતા અને ૯,૭૭૭ કરોડ રૂપિયા કંપનીઓ દ્વારા લૂંટવામાં આવ્યા હતા. આનો અર્થ એવો પણ થાય છે કે અન્ય વર્ષોમાં મળતું વળતર નહિવત હતું. હવે મહારાષ્ટ્ર સરકાર પાક વીમા યોજના શરૂ કરી રહી છે. જોકે આમાં ખેડૂતોનો ફાયદો દેખાઈ રહ્યો છે, પરંતુ અહીં ખેડૂતોના વીમાનું પ્રીમિયમ કૃષિ બજેટમાં કાપ મૂકીને જ કંપનીઓને આપવું પડે છે, જેના કારણે ખેડૂતોને પણ નુકસાન થશે.
અહીં સરકારે જ કોર્પોરેટ વચેટિયાઓ બનાવ્યા છે જેઓ માત્ર વળતરની વહેંચણી માટે દર વર્ષે ૧૦,૦૦૦ કરોડ રૂપિયા કમાય છે. ખાનગી વીમા કંપનીઓ પણ આ લૂંટમાં અગ્રેસર છે. પંજાબ, બિહાર અને પશ્ચિમ બંગાળ પહેલા જ આ યોજનામાંથી બહાર નીકળી ચૂક્યા છે. હવે આંધ્રપ્રદેશ, ગુજરાત, તેલંગાણા અને ઝારખંડે પણ ઓછા દાવાની ચુકવણીને કારણે આ યોજના બંધ કરી દીધી છે. સરકારની ખેડૂત વિરોધી નીતિઓને કારણે પહેલાંથી જ ખેતીમાં ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે. સરકારે પાકના વાજબી ભાવ આપવા અને ખર્ચમાં કંપનીઓ દ્વારા થતી લૂંટ બંધ કરવા માટે કોઈ પગલાં લીધા નથી, પરંતુ ઉદ્યોગપતિઓ અને વેપારીઓને ખેડૂતોનું શોષણ કરવાની છૂટ આપવામાં આવી છે. હવે કેન્દ્ર સરકાર કુદરતી આફતોમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવાનું કામ કંપનીઓને સોંપીને વીમા કંપનીઓને ફાયદો કરાવી રહી છે.


