GSTને લઈને 1 જુલાઈથી લાગુ થશે નવો નિયમ, હવે ત્રણ વર્ષ જૂનું પેન્ડિંગ GST રિટર્ન નહીં કરી શકો ફાઇલ
GST Return Filing Rules: ગુડ્સ ઍન્ડ સર્વિસિઝ ટેક્સ નેટવર્ક(GSTN)એ કરદાતાઓને ઍલર્ટ આપ્યું છે કે, 1 જુલાઈ, 2025થી ત્રણ વર્ષ જૂના પેન્ડિંગ જીએસટી રિટર્ન ફાઇલ કરી શકાશે નહીં. આ નિયમ નાણા અધિનિયમ, 2023માં થયેલા સંશોધનના આધારે લાગુ કરવામાં આવશે. જેથી GSTNએ સલાહ આપી છે કે, કરદાતાઓ પોતાના પેન્ડિંગ GSTR-1, GSTR-3B અને GSTR-9 જેવા રિટર્ન દાખલ કરી શકશે નહીં. તે પોતાના રૅકોર્ડ એકત્ર કરી ઝડપથી પેન્ડિંગ રિટર્ન ફાઇલ કરે.
CBIC એ તેના ક્ષેત્રીય અધિકારીઓને પણ સૂચના આપી છે કે તેઓ કરદાતાઓને આ સમયમર્યાદા મુદ્દે માહિતી આપે, જેથી તેઓ સમયસર તેમના તમામ રિટર્ન ફાઇલ કરી શકે. ટેક્સ કન્સલ્ટન્ટે આ અંગે જણાવ્યું હતું કે, આ પગલાંથી કર પ્રણાલીમાં શિસ્ત વધશે, પરંતુ જે કરદાતાઓનું ફાઇલિંગ કાનૂની વિવાદ, તકનીકી સમસ્યા અથવા અજાણ્યા કારણોસર અટવાયેલું છે. તેમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ(ITC)માં નુકસાન થઈ શકે છે. ખાસ પરિસ્થિતિઓ માટે કોઈ રાહત પદ્ધતિ વિના આવા કડક પ્રતિબંધથી પ્રામાણિક કરદાતાઓને નાણાકીય નુકસાન થઈ શકે છે. તેથી, આવી પરિસ્થિતિઓ માટે રિઝોલ્યુશન સિસ્ટમ હોવી જરૂરી છે જેથી કરદાતાઓને ન્યાય મળી શકે.
જીએસટી ફોર્મમાં સુધારા માટે મહત્ત્વની અપડેટ
GST પોર્ટલે એક નવી સલાહ જારી કરી છે, જે મુજબ જુલાઈ 2025થી, કરદાતાઓના GSTR-3Bમાં દેખાતી ઓટો-પોપ્યુલેટેડ ટેક્સ જવાબદારી સંપાદિત કરી શકાશે નહીં. હવે જો કરદાતાઓ તેમના GSTR-1 અથવા IFFમાં કોઈપણ ભૂલ સુધારવા માંગતા હોય, તો તેઓ GSTR-3B ફાઇલ કરતાં પહેલા નવા ફોર્મ GSTR-1Aનો ઉપયોગ કરીને સુધારા કરી શકે છે. અત્યાર સુધી, કરદાતાઓ GSTR-3B માં ઓટો-પોપ્યુલેટેડ ડેટામાં ફેરફાર કરી શકતા હતા, પરંતુ નવા ફેરફાર પછી, સાચી માહિતી ફક્ત GSTR-1A દ્વારા અપડેટ કરવાની રહેશે. આ ખાતરી કરશે કે રિટર્ન ફાઇલ કરતા પહેલા કર જવાબદારી યોગ્ય રીતે પ્રતિબિંબિત થાય છે.
પેન્ડિંગ રિટર્નની સમીક્ષા કરો
કરદાતાઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમના બધા પેન્ડિંગ રિટર્નની સમયસર સમીક્ષા કરે, મેચ કરે અને ફાઇલ કરે, કારણ કે પોર્ટલ પર લાદવામાં આવેલી સમયમર્યાદા બાદ સુધારા કરી શકાશે નહીં. જો જીએસટી રિટર્ન ભરવામાં નિષ્ફળ રહ્યા તો અનેક સમસ્યાઓ અને નાણાકીય નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
'GST પખવાડિયા' અભિયાન
1 જુલાઈના રોજ જીએસટી દિવસ ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ ઍન્ડ કસ્ટમ્સે(CBIC) 17 જૂનથી 30 જૂન સુધી 'GST પખવાડિયા' અભિયાન શરુ કર્યું છે. તેનો ઉદ્દેશ્ય કરદાતાઓમાં જાગૃતિ વધારવાનો અને તેમને GST સંબંધિત જરૂરી માહિતી અને સહાય પૂરી પાડવાનો છે. આ અભિયાન GSTના આઠ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે થઈ રહી છે. GST સિસ્ટમ 1 જુલાઈ 2017ના રોજ લાગુ કરવામાં આવી હતી. આ પહેલ હેઠળ, દેશભરના તમામ સેન્ટ્રલ GST (CGST) કમિશન રેટમાં હેલ્પડેસ્ક સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યાં કરદાતાઓને રિટર્ન ફાઇલ કરવામાં મદદ કરવામાં આવી રહી છે અને તેમના પ્રશ્નોના જવાબ આપવામાં આવી રહ્યા છે. અધિકારીઓ કહે છે કે આ ઝુંબેશ GSTની અત્યાર સુધીની સફરને ઉજાગર કરવા તેમજ રિટર્ન ફાઇલિંગ સિસ્ટમમાં મહત્ત્વપૂર્ણ ફેરફારો વિશે માહિતી પ્રદાન કરવાનું એક માધ્યમ છે.