Business

હેલ્થ અને ટર્મ ઇન્સ્યોરન્સ અંગે લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે નિર્ણય લેવાય તેવી શક્યતા

By GS TEAM
19 Aug 20252 mins read
TukuTouch Logo
આ વર્ષે દીવાળીમાં કેન્દ્ર સરકાર જીએસટીમાં ઘટાડાનો લાભ આપવા જઈ રહી છે. જેના લીધે વિવિધ ચીજવસ્તુઓ સસ્તી થવાની શક્યતા છે. ઇન્સ્યોરન્સ પોલિસી પર પણ લાગુ ટેક્સમાં ઘટાડો થવાનો આશાવાદ છે. પરિણામે વીમાધારકના ખિસ્સા પર પ્રીમિયમનો બોજો ઘટશે અને ઇન્સ્યોરન્સ વધુ સુલભ બનશે. કેન્દ્ર સરકારે આ મામલે સત્તાવાર કોઈ ખાતરી આપી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

હેલ્થ અને ટર્મ ઇન્સ્યોરન્સ અંગે લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે નિર્ણય લેવાય તેવી શક્યતા

GST On Health And Term Insurance: આ વર્ષે દીવાળીમાં કેન્દ્ર સરકાર જીએસટીમાં ઘટાડાનો લાભ આપવા જઈ રહી છે. જેના લીધે વિવિધ ચીજવસ્તુઓ સસ્તી થવાની શક્યતા છે. ઇન્સ્યોરન્સ પોલિસી પર પણ લાગુ ટેક્સમાં ઘટાડો થવાનો આશાવાદ છે. પરિણામે વીમાધારકના ખિસ્સા પર પ્રીમિયમનો બોજો ઘટશે અને ઇન્સ્યોરન્સ વધુ સુલભ બનશે. કેન્દ્ર સરકારે આ મામલે સત્તાવાર કોઈ ખાતરી આપી નથી.

છેલ્લા લગભગ એક વર્ષથી ઇન્સ્યોરન્સ પર લાગુ જીએસટી ઘટાડવાની માગ થઈ રહી હતી. જેના માટે જીએસટી કાઉન્સિલ સમક્ષ ભલામણો રજૂ કરવામાં આવી હતી. ટેક્સ સ્ટ્રક્ચરમાં મોટા ફેરફારો સાથે હેલ્થ અને ટર્મ ઇન્સ્યોરન્સ પર લાગુ જીએસટી ઘટાડી 5 ટકા કરવાની જોગવાઈ છે. હાલ તેના પર 18 ટકા જીએસટી લાગુ છે. 

જીએસટી ઘટાડાથી 17000 કરોડનું નુકસાન

નિષ્ણાતોના મતે, ઇન્સ્યોરન્સ પર જીએસટીમાં ઘટાડો કરવાથી સરકારની તિજોરીને વાર્ષિક રૂ. 17000 કરોડનું નુકસાન થઈ શકે છે. જો હેલ્થ અને ટર્મ ઇન્સ્યોરન્સ પરથી જીએસટી સંપૂર્ણપણે દૂર કરવામાં આવે તો ઇન્સ્યોરન્સ કંપનીઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટ(ITC)નો ક્લેમ કરવાની ક્ષમતા ગુમાવશે. જેથી ઓપરેટિંગ ખર્ચમાં વધારો થશે. જો કે, ઇન્સ્યોરન્સ ખરીદનારા સામાન્ય લોકોના ખિસ્સા પર બોજો ઘટશે. હાલ 18 ટકા જીએસટી લાગુ છે. જેથી જો હેલ્થ ઇન્સ્યોરન્સ માટે વાર્ષિક રૂ. 50000નું પ્રીમિયમ ચૂકવતા હોય તો તેઓએ જીએસટી પેટે રૂ. 9000 વધારાના ચૂકવવા પડે છે. આ પ્રકારની પોલીસીમાં ટેક્સ ઘટાડવાથી ઇન્સ્યોરન્સની ખરીદી અને માગ વધશે.

વડાપ્રધાને કરી જાહેરાત

વડાપ્રધાન મોદીએ 79મા સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાએથી જાહેરાત કરી હતી કે, ગરીબો અને મધ્યમ વર્ગ માટે જીએસટીમાં ઘટાડો કરવાના ઉદ્દેશ સાથે એક યોજનાબદ્ધ જીએસટી સુધારો કરવા જઈ રહ્યા છે. નાગરિકોને આ દીવાળીએ જીએસટીમાં ઘટાડાની ભેટ આપીશું. જેથી લોકોના ખિસ્સા પર બોજો ઘટશે. તેમજ એમએસએમઈ, નાના ઉદ્યોગોને મોટો લાભ મળશે. રોજિંદા જીવનની વસ્તુઓ સસ્તી થશે અને અર્થવ્યવસ્થાને વેગ મળશે. જેના ભાગરૂપે નાણા મંત્રાલયે સ્પષ્ટતા આપી હતી કે, તેઓ જીએસટીના સ્લેબ 4થી ઘટાડી 2 કરવાની વિચારણા કરી રહ્યા છે.