ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ અને જનરલ ઇન્શ્યોરન્સમાં સરકાર હિસ્સો વેચશે
- રોકાણકારોને આકર્ષવા માટે રોડ શો શરૂ કરાશે
અમદાવાદ : સરકાર ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ અને જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (GIC Re) જેવી સામાન્ય વીમા કંપનીઓમાં ઓછામાં ઓછો અડધો હિસ્સો ઘટાડવાની પ્રક્રિયા ઝડપી બનાવવા જઈ રહી છે. કેન્દ્રીય નાણાં મંત્રાલય સેબીના ફરજિયાત લઘુત્તમ જાહેર શેરહોલ્ડિંગ ધોરણોનું પાલન કરવા માટે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન આ બે સરકારી વીમા કંપનીઓમાં સરકારનો હિસ્સો ઘટાડવાની યોજના બનાવી રહ્યું છે.
હાલમાં, સરકાર પાસે ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સમાં ૮૫.૪૪ ટકા હિસ્સો અને જનરલ ઇન્શ્યોરન્સમાં ૮૨.૪ ટકા હિસ્સો છે. સેબીએ જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ સહિત તમામ લિસ્ટેડ કંપનીઓને સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, ૧૯૫૭ ના નિયમ ૧૯છ અને સેબી (LODR) રેગ્યુલેશન્સના નિયમ ૩૮ હેઠળ ૨૫ ટકાનું લઘુત્તમ જાહેર શેરહોલ્ડિંગ જાળવવાનો નિર્દેશ આપ્યો છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે સરકારે ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સમાં ૧૦.૪૪ ટકા હિસ્સો અને જનરલ ઇન્શ્યોરન્સમાં ૭.૪ ટકા હિસ્સો વેચવો પડશે.
સરકાર તબક્કાવાર રીતે હિસ્સો વેચવાની યોજના બનાવી રહી છે. ઉદાહરણ તરીકે, જનરલ ઇન્શ્યોરન્સ માટે લક્ષ્ય લગભગ ૩.૫ ટકા હિસ્સો વેચવાનું છે. પરંતુ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ માટે, ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં લગભગ ૫ ટકા હિસ્સો વેચાશે.
સરકાર, વીમા કંપનીઓ સાથે મળીને, સંભવિત રોકાણકારોને આકર્ષવા માટે ટૂંક સમયમાં નવા રોડ શો શરૂ કરશે. આ બંને વીમા કંપનીઓ માટે વર્તમાન સમયમર્યાદા ઓગસ્ટ ૨૦૨૬ છે.