મુંબઈ : અમેરિકા દ્વારા ભારત પરના ટેરિફમાં ઘટાડો કરાયા બાદ ગોલ્ડમેન સાચ્સે ભારત માટે બૃહદ્આર્થિક આઉટલુકને પોઝિટિવ રહેવાની અપેક્ષા વ્યકત કરી છે. ટ્રમ્પે કરેલી જાહેરાતના અમલથી ભારત પરના ટેરિફમાં ઘટાડો થશે અને તેને એશિયાના અન્ય દેશો જેના પર ૧૫થી ૧૯ ટકા ટેરિફ નાખવામાં આવ્યા છે તેની બરોબરીમાં લવાયા છે.
ટેરિફમાં ઘટાડાની દેશના આર્થિક વિકાસ દર પર શું ફરક પડશે તેનો અંદાજ મેળવવામાં જણાયું હતું કે આ ઘટાડો ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસમાં વાર્ષિક ધોરણે ૦.૨૦ ટકાનો ઉમેરો કરી શકે છે, એમ ગોલ્ડમેન દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું.
ભારત દ્વારા અમેરિકામાં થતી નિકાસના આંકડાને આધારે આ ધારણાં આવી પડી છે. એકંદરે વર્તમાન કેલેન્ડર વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજને વધારી ૬.૯૦ ટકા કરાયો હોવાનું પણ જણાવાયું હતું. કરારથી વેપાર નીતિને લગતી અનિશ્ચિતતા દૂર થશે અને ખાનગી ઈન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન મળશે. ખાનગી મૂડીખર્ચમાં રિકવરીને કારણે જીડીપીમાં વધારો જોવા મળશે.
બહારી અસમતુલાના દ્રષ્ટિકોણથી ટેરિફમાં ઘટાડાને ધ્યાનમાં રાખી વર્તમાન કેલેન્ડર વર્ષમાં ભારતની ચાલુ ખાતાની ખાધ જીડીપીના ૦.૨૫ ટકા ઘટી ૦.૮૦ ટકા રહેવા ધારણાં મૂકવામાં આવી છે.
વેપાર તાણ હળવી થતા મૂડી પ્રવાહમાં વધારો થશે જેને કારણે રૂપિયા પરનું દબાણ ઘટશે તેવી પણ ગોલ્ડમેન દ્વારા અપેક્ષા વ્યકત કરવામાં આવી છે.


