Gold Silver Price: હાલમાં સોના-ચાંદીના ભાવને લઈને દેશભરના લોકોમાં ભારે મથામણ ચાલી રહી છે. એક તરફ વૈશ્વિક તણાવ અને ક્રૂડ ઓઇલની વધતી કિંમતો છે, તો બીજી તરફ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં દબાણ વધ્યું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આગામી એક વર્ષ સુધી બિનજરૂરી સોનાની ખરીદી ટાળવા મોટી અપીલ કરી છે. પીએમની આ અપીલ બાદ હવે સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે શું સોનાના ભાવમાં મોટો ઘટાડો આવશે?
કેમ સોનું ખરીદવા માટે PMએ ઇન્કાર કર્યો
એક્સપર્ટ્સના મતે, આ ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર (Forex Reserves) બચાવવાનો માસ્ટરસ્ટ્રોક છે. ભારત દર વર્ષે લગભગ 800 મેટ્રિક ટન સોનું આયાત કરે છે, જેનું પેમેન્ટ ડૉલરમાં કરવું પડે છે. જો લોકો બિનજરૂરી સોનું ન ખરીદે તો ડૉલરની બચત થશે અને ભારતીય રૂપિયો મજબૂત બનશે. ક્રૂડ ઓઇલ અને સોનાની વધતી કિંમતો ભારતીય અર્થતંત્રને નબળું પાડે છે. ખરીદી ઘટવાથી ગ્લોબલ ઝટકા સામે ભારતની સ્થિરતા વધશે.
MCX અને સરાફા બજારની સ્થિતિ
પીએમ મોદીના નિવેદન બાદ માર્કેટમાં ચિંતા અને અનિશ્ચિતતાનો માહોલ છે. ઘરેલુ વાયદા બજાર (MCX) પર સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ સોનું 600 રૂપિયાના ઘટાડા સાથે ₹1,52,018 પર ટ્રેડ કરી રહ્યું છે. બજારમાં ગભરાટને કારણે જ્વેલરી કંપનીઓના શેરમાં પણ મોટું ગાબડું જોવા મળ્યું છે. માર્ચ 2026 સુધીમાં RBI પાસે કુલ 880.52 મેટ્રિક ટન સોનું છે, જેમાંથી 680 ટન ભારતની તિજોરીમાં છે.
શું અત્યારે સોનું ખરીદવું યોગ્ય છે?
રોકાણકારો અને લગ્નની ખરીદી કરનારા પરિવારો અત્યારે વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. એક્સપર્ટ્સનું માનવું છે કે, જો સરકારી અપીલની અસર વ્યાપક થશે, તો માર્કેટમાં માંગ ઘટતા કિંમતો હજુ નીચે જઈ શકે છે. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતું યુદ્ધ અને સપ્લાય ચેઇનની સ્થિતિ પણ સોનાના ભાવમાં મહત્ત્વનો ભાગ ભજવશે.


