Get The App

LPG બાદ હવે સોના-ચાંદીની અછત સર્જાશે? ભારતીય બેંકોએ આયાત અટકાવી, જાણો મામલો

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
LPG બાદ હવે સોના-ચાંદીની અછત સર્જાશે? ભારતીય બેંકોએ આયાત અટકાવી, જાણો મામલો 1 - image


Silver and Gold News : દેશમાં LPG ગેસ બાદ હવે સોના અને ચાંદીની ભારે અછત સર્જાઈ શકે તેવા સંકેતો મળી રહ્યા છે. ભારતીય બેંકોએ હાલમાં વિદેશી સપ્લાયર્સ પાસેથી સોના અને ચાંદીના નવા ઓર્ડર લેવાનું બંધ કરી દીધું છે. સત્તાવાર સરકારી આદેશના અભાવે ટનબંધ સોનું અને ચાંદી હાલમાં કસ્ટમ્સ વિભાગમાં અટવાયેલું પડ્યું છે.

DGFT ના આદેશની રાહમાં બેંકો

સામાન્ય રીતે દર નાણાકીય વર્ષની શરૂઆતમાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એવા બેંકોની યાદી જાહેર કરે છે જેમને RBI દ્વારા સોના-ચાંદીની આયાત માટે અધિકૃત કરવામાં આવ્યા હોય. ગત વર્ષનો આદેશ 31 માર્ચ 2026 ના રોજ પૂરો થઈ ગયો છે, પરંતુ એપ્રિલના અડધા દિવસો વીતી ગયા હોવા છતાં DGFT એ હજુ સુધી નવો પરિપત્ર જાહેર કર્યો નથી. આ ટેકનિકલ કારણોસર બેંકો નવા ઓર્ડર આપી શકતી નથી.

કસ્ટમ્સમાં અટવાયેલો ટનબંધ જથ્થો

મુંબઈ સ્થિત બુલિયન ડીલર્સના જણાવ્યા અનુસાર, કસ્ટમ્સ ક્લિયરન્સ ન મળવાને કારણે 5 ટનથી વધુ સોનું અને 8 ટન જેટલી આયાતી ચાંદી પોર્ટ પર જ પડી રહી છે. DGFT દ્વારા આદેશના સમય અંગે અનિશ્ચિતતા હોવાથી બેંકો વિદેશી સપ્લાયર્સ સાથે નવા કરાર કરતા ડરી રહી છે.

વૈશ્વિક બજાર અને રૂપિયા પર અસર

ભારત સોનાનો બીજો મોટો ગ્રાહક અને ચાંદીનો સૌથી મોટો ખરીદદાર દેશ છે. જો ભારતની માંગ નબળી પડશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવો પર તેની સીધી અસર જોવા મળી શકે છે. બીજી તરફ, આયાત ઘટવાથી દેશની વ્યાપાર ખાધમાં ઘટાડો થઈ શકે છે, જે રૂપિયાને મજબૂત કરવામાં મદદરૂપ બની શકે છે. નોંધનીય છે કે 2025 માં ભારતની સોનાની માંગ 5 વર્ષના નીચલા સ્તરે રહી હતી.