Business

વિદેશીઓએ 3.06 લાખ કરોડ ખેંચ્યા, સ્થાનિકોએ 7.88 લાખ કરોડ ઠાલવ્યા

By GS TEAM
4 Jan 20262 mins read
વિદેશીઓએ 3.06 લાખ કરોડ ખેંચ્યા, સ્થાનિકોએ 7.88 લાખ કરોડ ઠાલવ્યા

- 2025માં સતત પાંચમાં વર્ષે એફઆઈઆઈ નેટ વેચવાલ

- ડીઆઈઆઈની 2008 પછીના અત્યાર સુધીની કોઈ એક વર્ષની વિક્રમી ખરીદી 

મુંબઈ : સમાપ્ત થયેલા ૨૦૨૫ના વર્ષમાં સતત પાંચમાં વર્ષે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) ભારતીય ઈક્વિટીસમાં નેટ વેચવાલ રહ્યા છે જ્યારે ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ) આ ગાળામાં સતત ખરીદદાર રહ્યા છે. 

સમાપ્ત થયેલા ૨૦૨૫ના વર્ષમાં વિદેશી રોકાણકારોએ રૂપિયા ૩,૦૬,૪૧૮.૦૯ કરોડની ઈક્વિટીનું નેટ વેચાણ કર્યું છે. જ્યારે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોએ રૂપિયા ૭,૮૮,૧૮૪.૩૮ કરોડની નેટ ખરીદી કરી છે.

કેલેન્ડર વર્ષ ૨૦૨૧થી વિદેશી રોકાણકારો ભારતીય ઈક્વિટીસ કેશમાં સતત વેચવાલ રહ્યા છે. ૨૦૨૫ની વેચવાલી છેલ્લા પાંચ વર્ષની સૌથી વધુ હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. 

૨૦૨૪માં વિદેશી રોકાણકારોએ કુલ રૂપિયા ૩,૦૪,૨૧૭.૨૫ કરોડ ઘરભેગા કર્યા હતા. 

અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાને પરિણામે વિદેશી રોકાણકારો ઊભરતી બજારોમાંથી નાણાં પાછા ખેંચી વિકસિત દેશોની ઈક્વિટીસમાં નાણાં ઠાલવી રહ્યાનું જોવા મળી રહ્યું છે.

બીજી બાજુ ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોએ ગત વર્ષમાં ઈક્વિટી કેશમાં રૂપિયા ૭,૮૮,૧૮૪.૩૮ કરોડની નેટ ખરીદી કરી છે જે ૨૦૦૮ પછીના અત્યાર સુધીની કોઈ એક વર્ષની વિક્રમી ખરીદી હોવાનું માનવામાં આવે છે.

મ્યુચ્યુઅલ ફન્ડોમાં રિટેલ રોકાણકારોના જંગી પ્રવાહને પરિણામે સ્થાનિક ઈક્વિટીસમાં ડીઆઈઆઈના નાણાં ઠલવાઈ રહ્યા હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું. દેશની ઈક્વિટીસમાં વિદેશી રોકાણકારો ભલે વેચવાલ રહ્યા હોય પરંતુ ૨૦૨૬માં ઋણ બજારમાં વિદેશી રોકાણકારો પોતાની હાજરી વધારવા ઈરાદો ધરાવતા હોવાના સંકેત મળી રહ્યા છે. 

૨૦૨૬ના પ્રથમ જ દિવસે દેશના ઋણ બજારમાં વિદેશી રોકાણકારોની રૂપિયા ૭૫૨૪ કરોડની નેટ ખરીદી રહી છે જે છેલ્લા છ મહિનામાં કોઈ એક દિવસની સૌથી મોટી ખરીદી હોવાનું પ્રાપ્ત ડેટા પરથી કહી શકાય એમ છે.

ગયા વર્ષની ૨૯મી મેના રોજ વિદેશી રોકાણકારોએ રૂપિયા ૨૯૧૭૯ કરોડના ઋણ સાધનોની ખરીદી કરી હતી. વિકસિત દેશોની સરખામણીએ ભારતમાં ઋણ સાધનો પર ઊંચા વ્યાજ છૂટતા હોવાથી ઋણ સાધનોમાં રોકાણમાં આકર્ષણ રહે છે.